જૂનાગઢ તા.૨૫ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાતો મેળો એટલે ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો. મહાશિવરાત્રી મેળામાં સાધુ, સંતો અને લાખો ભાવિકો મેળો માણવા ઉમટી પડે છે. તેમજ મેળામાં રોજગારી મેળવવા ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી ફેરિયાઓ પહોંચી જાય છે અને મેળામાં રોજગારી મેળવી પરિવારનું ભરણપોષણ કરે છે.
મધ્યપ્રદેશ રાજ્યમાંથી આવેલા ફેરિયાઓએ જણાવ્યું હતું કે, ભવનાથ શિવરાત્રીના મેળામાં દર વર્ષે પરિવાર સાથે મેળામાં માળા, કંઠી, ગંગા સાગર, રૂદ્વાક્ષ, શાલીગ્રામ સહિતની વસ્તુઓ વેચવા આવીએ છીએ અને મેળામાંથી સારી એવી આવક મળે છે. જેથી પરિવારનું ભરણપોષણ કરી શકીએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભવનાથ શિવરાત્રી મેળામાં દર વર્ષે મધ્યપ્રદેશથી પરિવારોના સભ્યો માળા, કંઠી, ગંગાસાગર, રૂદ્વાક્ષ સહિતની વસ્તુઓ વેચવા માટે આવે છે અને મેળામાં વિના મૂલ્યે અન્નક્ષેત્રોમાં પ્રસાદ સાથે પાંચ દિવસના મેળા દરમિયાન સારી એવી આવક મેળવે છે.


