શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૫મો પદવીદાન સમારોહ સંસ્કૃતિ અને સાયન્સનો અભૂતપૂર્વ સમન્વય બની રહ્યો. દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરીયા ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા. જ્યાં દૂરસંચાર માધ્યમોમાં વૈજ્ઞાનિક વિકાસનું ઉદાહરણ દેખાયું. તો, સંસ્કૃત ભાષાના વિદ્વાન અભ્યાસુ એવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધન સંપૂર્ણપણે સંસ્કૃત ભાષામાં આપ્યું હતું. એટલું જ નહીં, કુલપતિ શ્રી ડૉ. લલિતકુમાર પટેલ અને મંચસ્થ તમામ મહાનુભાવોએ પણ સંસ્કૃતમાં વ્યક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન સંસ્કૃત ભાષામાં કરાયું હતું. જેમાં મંચસ્થ મહાનુભાવો ધોતી-ઝભ્ભો અને સાફા સાથે પરંપરાગત પોશાકમાં સજ્જ હતા. સંસ્કૃતિ અને સાયન્સનો અદભુત સમન્વય.!
