પી.એમ. કિસાન યોજના અન્વયે ૧૩માં હપ્તાનો લાભ લેવા માટે E-KYC ફરજિયાત
—
અમરેલી તા.૦૮ ફેબ્રુઆરી, ૨૩ (બુધવાર) પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળના લાભાર્થી ખેડૂતોને રુ.૨,૦૦૦ એમ ત્રણ સમાન હપ્તા એટલે કે વાર્ષિક રુ.૬,૦૦૦ ભારત સરકાર દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે આપવામાં આવે છે. સરકારશ્રીના દિશાનિર્દેશ મુજબ આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ E-KYC અને બેન્ક ખાતામાં આધાર સિડિંગ કરાવેલ હોવું જરુરી છે. હાલમાં પીએમ કિસાન યોજના અન્વયે ૧૩માં હપ્તાની રકમ ચૂકવવા અંગેની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂત લાભાર્થીઓ પોસ્ટ ઓફિસની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્કમાં આધાર સિડિંગ સાથે કોઇ પણ પ્રકારનું ફોર્મ ભર્યા વિના બેન્ક ખાતુ ખોલાવી શકે છે. આ યોજનાનો લાભ ચાલુ રાખી શકે છે. દરેક પોસ્ટ ઓફિસમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ માટે લાભાર્થીનું આધાર કાર્ડ અને મોબાઇલ નંબર તેમજ વ્યક્તિની હાજરી જરુરી રહેશે. વધુ જાણકારી માટે નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો અથવા તાલુકા તંત્રના વિસ્તરણ અધિકારી, ગામના ગ્રામસેવકનો સંપર્ક કરવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ધર્મેશ વાળા ૦૦૦
