ભક્તકવિ નરસિંહમહેતા યુનિવર્સિટી ખાતે G20 અંતર્ગત ‘Managing Trourism Heritage’ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન કુલપતિશ્રી ડૉ.ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. જેમાં પોલેન્ડથી આવેલ શ્રી શિવાનંદજી (પૂર્વાશ્રમનું નામ ડૉ.ફિલિપ) તેમજ તેમની ૧૫ પોલેન્ડના વિદ્વાનોની ટીમ સાથે આવેલ ડૉ. મારિયા અને ડૉ.ઓલા એ Tourism Heritage વિષય ઉપર પોતાનાં વિચારો રજૂ કર્યા. ડૉ શિવાનંદજીએ જણાવ્યું કે, પોલેન્ડની સંસ્કૃતિનાં મૂળ વેદમાં છે અને એટલે જ વૈદિક સંસ્કૃતિનું તેના મૂળ સ્વરૂપે રક્ષણ થવું જોઈએ. જો વૈશ્વિક સંદર્ભ પણ જોવામાં આવે તો વૈદિક સંસ્કૃતિનો પ્રાચીન વિસ્તાર અને વિકાસ અંગે વધુ અભ્યાસો થઇ શકે અને માહિતી મળી શકે. ‘વસુધૈવ કુટુંબકમ’ શબ્દનો ઉદ્ભવ પણ આ પ્રાચીન સંસ્કૃતિની દેન છે.
ડૉ ઓલા એ જણાવ્યું કે, મનુષ્ય ભલે અલગ દેશમાં રહેતા હોય અને અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા હોય પરંતુ તેઓમાં હૃદયની સમાનતા હોય છે. તો ડૉ.મારિયા એ જણાવ્યું કે,ભારતની સંસ્કૃતિ અન્ય સંસ્કૃતિ કરતા અલગ છે. જો આ સંસ્કૃતિને તેના વારસાને જાળવવો હોય તો તેને તેના શુદ્ધ સ્વરૂપે સાચવવા માટે પ્રયાસો થવા જોઈએ. ગીરનાર જેવા સિદ્ધ ક્ષેત્રોનો એક ઐતિહાસિક, ધાર્મિક અને આધ્યાત્મિક ઈતિહાસ છે ત્યારે આ ક્ષેત્રોની જાળવણી થવી જોઈએ.
આ કાર્યક્રમનાં અધ્યક્ષ કુલપતિશ્રી ડૉ.ચેતન ત્રિવેદીએ મહાત્મા ગાંધી અને નરસિંહ મહેતાને યાદ કરતા જણાવ્યું કે,આપણી સંસ્કૃતિ ‘વૈષ્ણવજન સંસ્કૃતિ છે. જેનું વૈશ્વિક મહત્વ છે. સિદ્ધક્ષેત્ર ગીરનારની પાવનભૂમિ પર પોલેન્ડથી પધારેલ મહાનુભાવોને આવકારતા જણાવ્યું કે, ટૂરિઝમ એ માત્ર ઈકોનોમીને કેન્દ્રમાં રાખીને નહિ પરંતુ ઇકોલોજી અને સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને વિકસિત થવું જોઈએ.
સમગ્ર કાર્યક્રમ ઈતિહાસ વિભાગનાં અધ્યક્ષ એવા ડૉ.વિશાલ જોષીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન અગ્રેજી વિભાગનાં અધ્યક્ષ ડૉ ફિરોઝ શેખ એ કર્યું તેમજ ડૉ. ઋષિરાજ ઉપાધ્યાય એ આભારવિધિ કરી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીનાં વિભિન્ન વિભાગનાં અધ્યક્ષ, અધ્યાપકો તેમજ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.


