જૂનાગઢ શહેરના સ્વચ્છ રાખવા માટે સતત જેહમત ઉઠાવતા સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેયર શ્રીમતી ગીતાબેન પરમારની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સફાઈ કર્મચારીઓને ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ગીતાબેન પરમારે ટાઢ, તડકા કે વરસાદ વચ્ચે પણ જૂનાગઢ શહેરને સ્વચ્છ રાખવા માટે સતત જેહમત ઉઠાવતા સફાઈ કર્મીઓને બિરદાવ્યા હતા. આ સાથે જૂનાગઢ સ્વચ્છતામાં અગ્રેસર બને તે માટેની પણ નેમ વ્યક્ત કરી હતી.
ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ સફાઈ કર્મચારીઓ ખૂબ મહત્વના કર્મચારી છે. સમગ્ર શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી તેમના શિરે છે. સાથે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌ શહેરીજનોનો સહકાર પણ અનિવાર્ય છે.
કમિશનર શ્રી રાજેશ તન્નાએ જૂનાગઢ શહેરને સ્વચ્છતામાં ટોચના સ્થાને પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી. આ માટે તેમણે સફાઈ કર્મીઓના શ્રમની સાથે અને નાગરિકોનો સહયોગ પણ આવશ્યક ગણાવ્યો હતો.
શામળદાસ ગાંધી ટાઉનહોલમાં આયોજિત આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, સેનિટેશન સમિતિના ચેરમેન શ્રી બ્રીજેશાબેન ઘુઘલ, નગર સેવક સર્વશ્રી ધીરુભાઈ ગોહેલ, દિવાળીબેન પરમાર, પલ્લવીબેન ઠાકર, ઇલાબેન બાલાસ, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિત શર્મા, અગ્રણી શ્રી મોહનભાઈ પરમાર, આસિસ્ટન્ટ કમિશનર શ્રી જયેશ વાજા, વાલ્મિકી સમાજના પ્રમુખશ્રી દિનેશભાઈ ચુડાસમા સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ શ્રી વિજયભાઈ વાળા સહિતના પદાધિકારી – અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સેની. સુપરવાઇઝર શ્રી મનીષભાઈ દોશીએ શાબ્દિક સ્વાગત અને સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ શ્રી હાજાભાઇ ચુડાસમાએ આભાર વિધિ કરી હતી.
