સ્નેહલ નિમાવત
9429605924
સાંજ ઢળી રહી હતી.ઉનાળાનાનો સમય હતો.હજી હવામાં ગરમીના લહેર હતી.અંકિતા તેની કારમાં ઓફિસેથી ઘર તરફ જઇ રહી હતી.તેનું ઘર અમદાવાદના સાઉથ બોપલમાં સુકિર્તી હાઇટ્સમાં હતું.તેની ઓફિસ આશ્રમરોડ પર નવસર્જન ચેમ્બર્સમાં હતી. તે સીજી રોડ ક્રોસ કરીને આંબાવાડીથી પસાર થઇ રહી હતી.અચાનક તેની નજર રસ્તા પર પડેલા માજી પર પડી.તેણે આગળ જઇને ગાડી રોકી.ગાડીમાંથી ઉતરીને માજી પાસે જઇને તેણે પુછ્યુ ‘ માસી કોઇ તકલીફ છે? ’
માજી બોલવાની હાલતમાં નહોતા.ગરમીથી તે બેભાન જેવા થઇ ગયેલા.તેમના હાથ પગ ચાલતા નહોતા.
અંકિતાએ એક ભાઇને કહ્યુ માજીને ગાડીમાં મુકી જશો? અંકિતા માજીને દવાખાને લઇ ગઇ.માજીને ગરમીના કારણે તકલીફ થયેલી.તેમને દવાખાને સારવાર મળી ગઇ એટલે અંકિતા ડોક્ટરની રજા લઇને ઘરે ગઇ.
બીજા દિવસે સવારે ઓફિસ જતા પહેલા તે દવાખાને પહોંચી ગઇ.ડોક્ટરને મળી.માજીને હવે સારુ હતુ.સાંજ સુધીમાં તેમને રજા આપી દેવાની વાત ડોક્ટરે કરી.દવાખાનાનું બિલ ચુકવી તે માજીને મળવા ગઇ.માજી સાથે તેને થોડી લાગણી થઇ આવી.
અંકિતાએ તેમને સાંત્વના આપી અને સાંજે તમને મળવા આવીશ એવુ કહી તે ઓફિસ માટે નિકળી ગઇ.આખો દિવસ તેનું મન વિચારોમાં જ રહ્યું.સાંજે તે થોડી વહેલી ઓફિસેથી નિકળી ગઇ.માજીને મળી. અંકિતાએ પુછ્યુ માસી કેમ છે હવે? માસીની આંખો તરત ભરાઇ આવી.
તેમણે વાત શરુ કરી ‘ મારુ ઘર સુખી ઘર હતુ.મારા પતિ મને જીવથી વધુ સાચવતા.મારા બે બાળકો હતા. અમારા સુખી ઘરની બધાને અદેખાઇ આવતી.સૌ અમને ઝગડાવવા પ્રયત્નો પણ કરતા.અમારુ મન મળી ગયુ હતુ અને અમારો જીવ એક હતો. લોકોની વાતોમાં અમે કોઇ દિવસ આવતા નહીં. ’
‘જીવનમાં કોઇ વાતની તકલીફ નહોતી. એક દીકરો અને અને એક દીકરી હતી. બંને ટ્વિન્સ હતા.આઠ વરસના થયા હતા.એ દિવસ મને બરાબર યાદ છે. મારા પતિ રક્ષેશ દવે ઓફિસથી ઘરે આવેલા અને તેમના એક મિત્રને ઘરે લઇ આવેલા.ઘરે તેમનુ જમવાનું બનાવેલું.તેમને અમારા ઘરે મજા આવી.લગભગ અઠવાડિયામાં ત્રણ ચાર વાર આવવા લાગ્યો.રક્ષેશ સ્વભાવે સરળ.
રક્ષેશને રજત પર પુરેપુરો વિશ્વાસ હતો.તેના બિઝનેસની વાત કંઇપણ છુપુ રાખ્યા વગર તે રજતને કરતો. હું તેને ના પાડતી પણ રક્ષેશ ન માન્યો તેને રજત પર વધારે જ ભરોસો હતો.
રજતે તેના સૌથી મોટા ક્લાયન્ટ રાકેશ પટેલ સાથે મળીને રક્ષેસને છેતરવા લાગ્યો. તે તેમના મિત્રને રજતને સમજી ના શક્યા અને અમારો બિઝનેસ જાણી લીધા પછી તેણે અમારા ક્લાયન્ટને પોતાની વાતોમાં ફસાવી લીધા, અને અમારો બિઝનેસ ધીરે ધીરે ખતમ થઇ ગયો.’
અંકિતા એ પુછ્યુ તમારે શેનો બિઝનેસ હતો? માજીએ કહ્યુ મારા સસરાનો જ્વેલરીનો બિઝનેસ હતો.વર્ષોથી અમે સોના ચાંદીમાં કામ કરતા હતા.પણ વિશ્વાસ મુકીને અમે દગો સામેથી વહોર્યો.રજતે દાણચોરી કરીને રક્ષેશને ફસાવ્યો.તેમને જેલ થઇ ગઇ.એ જ અરસામાં મારા બંને બાળકોનો એક્સીડન્ટ થઇ ગયો. આ ખબર સાંભળીને રક્ષેશને વધુ આઘાત લાગ્યો.તેમને હાર્ટએટેક આવ્યો અને તેઓ પણ આ દુનિયા છોડીને જતા રહ્યા.
‘મારુ જીવન વેરવિખેર થઇ ગયું.મને કોઇ ભાન નહોતુ.મારુ ઘર પણ અમારા સગાવ્હાલાઓએ પચાવી પાડ્યુ હતુ.જીવનમાં સુખની છોળો ઉડતી હતી અને આજે હું સાવ એકલી છું.મને હજી ચાલીસ વરસ પણ નથી થયા પણ હું તકલીફોના લીધે વહેલી વૃધ્ધ બની ગઇ.જીવનના તડકાએ મારુ જીવન છીનવી લીધુ છે.તકલીફો વધુ પડી અને અચાનક આવી એટલે આઘાત વધુ લાગી ગયો છે. મારુ નામ લક્ષ્મી છે અને લક્ષ્મી દેવી જ અમારાથી રુઠી ગઇ છે…’
અંકિતા પણ વિચારોમાં ખોવાઇ ગઇ.તેવિચારી રહી કે મને જીવનમાં મળેલ આઘાત કરતા ઘણો મોટો આઘાત લક્ષ્મીબેનને મળ્યો હતો. તેની મદદ કેમ કરી શકાય એ અંકિતા વિચારી રહી….
કડવું છે પણ સત્ય છે.
જીવનમાં બધાનો વિશ્વાસ ન કરવો.બધા સરા નથી હોતા.બધા ખરાબ પણ નથી હોતા માટે બધાને શંકાની નજરે પણ ન જોવા. આપણા વિવેકથી જ હંમેશા વર્તવું…


