જૂનાગઢ,તા.૪ જૂનાગઢ જિલ્લામાં કેશોદ અને જૂનાગઢમાં મળી કુલ બે ૧૮૧ અભયમ રેસ્કયું વાન કાર્યરત છે. વર્ષ ૨૦૨૨માં જૂનાગઢ જિલ્લામાંથી કુલ ૪૭૪૭ મહિલાઓએ ૧૮૧ હેલ્પલાઇન પર કોલ કરી મદદ મેળવી જેમાંથી ૩૬૧૨ કોલમાં ટેલિફોનીક સલાહ – સૂચન,માર્ગદર્શન અને યોજનાઓની માહિતી આપવામાં આવેલ અને ૧૧૩૫ જેટલી પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જઈ મદદ પહોચાડવામાં આવી હતી. જેમાંથી ૭૩૦ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવેલ અને અન્ય ૩૭૫ કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન,મહિલા સહાયતા કેન્દ્ર,સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં આવ્યું હતુ.
સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ ૧૮૧ મહિલા હેલપલાઇન લાઇન પિડીત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ, અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
અભયમ હેલ્પલાઇન 24×7 વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે, જેથી દિન પ્રતિદિન રાજયની મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહીં છે, ગુજરાત સરકાર ની મહિલાઓ પ્રતિ કટિબદ્ધતા પુરવાર કરી રહેલ છે. કઠવાડા અમદાવાદ ખાતેની ટેકનિકલ સુવિધા થી સુસજ્જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પિડીત મહીલાને ઝડપી પ્રતિસાદ આપી ઘટના સ્થળે અભયમ રેસ્ક્યું ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવ ની સેવાઓ આપી રહી છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ નાં માર્ગદર્શન હેઠળ ગુજરાત ના તમામ જિલ્લાઓ માં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે.
મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિત ના કિસ્સાઓ, કામનાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી ફોન કોલ-મેસેજ થી હેરાનગતિ, મહિલા ને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ,અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓ મા મદદરૂપ બનેલ છે. અસરકારક કાઉન્સિલગ દ્વારા વિખરાતા પરિવાર ને બચાવ્યાની અનોખી કામગિરી કે મનોરોગી મહિલાઓ ને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો કે આત્મહત્યા ના વિચારોમાંથી મુક્તિ નાં કેસ મા આજે ૧૮૧અભયમ વધુ ને વધુ સુદ્રઢતા થી સેવાઓ પહોચાડી રહી છે. અનેક મહિલાઓના જીવન માં એક આશા નું કિરણ., સુખમય જીવન જીવવા અભયમ પ્રેરણાદાયી બની રહ્યું છે તેથી જ તો ગુજરાત ની મહિલાઓ ૧૮૧અભયમ ને પોતાની સાચી સખી સાહેલી તરીકે વિશ્વાસુ બની રહી છે. અભયમ સેવા સરકારશ્રી ના અન્ય વિભાગો સાથે નું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવના ની કટિબદ્ધતા થી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરી રહેલ છે .
અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓ મા ઉપયોગી નિવડી રહ્યું છે. ગુજરાત રાજ્ય માંથી વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધી ૧૨ લાખ જેટલા પિડીત મહિલાઓ એ સલાહ – સૂચન,મદદ અને બચાવ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં કૉલ કરેલ અને જેમાંથી ખાસ કિસ્સાઓમાં ધટના સ્થળે પહોંચી અઢી લાખ ઉપરાંત મહિલાઓ ને રેસ્કયું ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી. બાકી ના મહિલાઓ ને માર્ગદર્શન અને સંદર્ભ સેવાઓ આપવામા આવી હતી.


