મહેસાણા
શક્તિપીઠ બહુચરાજી ખાતે બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરના સાનિધ્યમાં શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર તેમજ બેચર બહુચરાજી ગામના માઈભક્તો દ્વારા આયોજિત ૨૪ કલાકની આનંદના ગરબાની મહાધૂનનો શનિવારે સવારે મંગલમય પ્રારંભ થયો હતો. ચાચરચોકમાં માનાં ગુણગાન રજૂ કરતા આનંદના ગરબાના પાઠ પ્રસંગે ઉત્તર ગુજરાત, અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી ૩૫૦ થી વધુ આનંદના ગરબા મંડળોએ ભાગ લીધો હોવાનું માઈભક્ત ભાસ્કરભાઈ ઠક્કર અને નરેશભાઈ પટેલે જણાવ્યું હતું. એકબાજુ આનંદના ગરબાની ધૂન અને બીજી બાજુ માથે ગરબો મૂકીને ઘૂમતી મહિલાઓનું વૃંદ જાેતાં જાણે સાક્ષાત મા બહુચર ગરબે રમવા પધાર્યા હોય તેવો ભાવ પ્રગટ થતો હતો. આ પ્રસંગે મંદિરમાં નયનરમ્ય દીપોત્સવ પણ કરાયો છે. માઈભક્તો માટે રહેવા અને ભોજનની સુવિધા પણ મંડળ દ્વારા કરવામાં આવી હતી.
