સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
મેહુલભાઇ વ્યાસ કે જેઓ સાવરકુંડલા શહેરમાં ગજાનન લેબોરેટરી ચલાવે છે અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી-સાવરકુંડલામાં સેક્રેટરી તરીકેની ઉમદા ફરજ બજાવે છે. છેલ્લા ૧૩ વર્ષથી અંધજનોને પ્રત્યેની પોતાની લાગણીને મૂર્તિમંત કરવા અને પોતાના આ કાર્યથી વધુમાં વધુ અંધજનોને દૃષ્ટિ મળે તેવા ઉમદા આશયથી જ્યારે કોઇપણ જ્ઞાતિમાં અવસાન થાય એટલે તરત તેમના સ્નેહીજનોની પરવાનગી લઇને સ્વર્ગસ્થનું ચક્ષુદાન સ્વીકારે છે. મેહુલભાઇ સમગ્ર અમરેલી જિલ્લાના કોઇપણ સ્થળે આ રાત-દિવસ જોયા વિના ચક્ષુદાન સ્વીકારવાની પ્રવૃત્તિ સ્વખર્ચે કરે છે. પોતાના લેબોરેટરીના વ્યવસાયમાં અતિ વ્યસત હોવા છતાં પણ જ્યારે તેઓને કોઇના અવસાનના સમાચાર મળે અને તેના સ્વજનો ચક્ષુદાન માટે રજા આપે એટલે ટાઢ, તડકો, વરસાદની પરવા કર્યા વિના લેબોરેટરી છોડી તેઓ તુરંત જે તે સ્થળે પહોંચી અને ચક્ષુદાન સ્વીકારે છે અને ચક્ષુદાન સ્વીકાર્યા બાદ તે આંખોને સુરક્ષિત રીતે આઇ બેંક માં મોકલી આપે છે. મેહુલભાઇ વ્યાસ ચક્ષુદાન પ્રવૃત્તિની સાથે સાથે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, બ્લડ કેમ્પ, થેલેસેમિયા કેમ્પ, એલ્ડરલી હોમ કેર આસીસ્ટન્ટ કોર્ષ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ કોર્સ જેવી પ્રવૃતિઓમાં પણ હંમેશા અગ્રેસર હોય છે. મેહુલભાઇ વ્યાસની સેવાકીય પ્રવૃત્તિની નોંધ લઇ ગુજરાતના રાજ્યપાલના વરદ્ હસ્તે તેઓને આજ સુધીમાં ૧૩ એવોર્ડ મેળવ્યા છે.