પ્રયાગરાજ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જીલ્લામાં અકબરના કિલ્લાની અંદર અક્ષયવત નામનું એક વિશાળ વૃક્ષ છે. ખાસ વાત એ છે કે આ વૃક્ષ ૩૦૦ વર્ષથી વધુ જૂનું છે. જ્યાં ધાર્મિક માન્યતાઓ અનુસાર વર્ષોથી પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે મુઘલ બાદશાહ અકબરે તેને ખતમ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેણે તેના અધિકારીઓને આ ઝાડ કાપવાનો આદેશ ઘણી બધી વખત આપ્યો હતો. આ જ કારણે આ ઝાડને બાળવાના અનેક પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા.પરંતુ ભગવાનની શક્તિનું એવું સ્વરૂપ કે વૃક્ષ ફરી ફરી તે જ જગ્યાએ ઉગી નીકળતું હતું. અને આજે પણ અડીખમ છે. આ કિલ્લાની અંદર સ્થિત પાતાલપુરી મંદિરમાં અક્ષયવટ ઉપરાંત ૪૩ દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે. પ્રયાગરાજના એક પૂજારી પ્રયાગનાથ ગોસ્વામીએ જણાવ્યુ હતું કે આ વૃક્ષ નીચે ભગવાન રામ અને સીતાએ વનવાસ દરમિયાન ત્રણ રાત્રિ સુધી આરામ કર્યો હતો. શું છે કથા?.. તે જાણો.. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે એક ઋષિએ ભગવાન નારાયણને દૈવી શક્તિ બતાવવાનું કહ્યું હતું. ત્યારે તેમણે આખી દુનિયા એક ક્ષણ માટે ડુબાડી દીધી હતી. ત્યાર પછી તેમણે આ પાણીને પણ અદ્રશ્ય કરી દીધુ હતુ. આ દરમિયાન જ્યારે બધી વસ્તુઓ પાણીમાં ડૂબી ગઈ ત્યારે માત્ર અક્ષય વટનો ઉપરનો ભાગ જ દેખાતો હતો. આ તેની પાછળની પૌરાણિક કથા છે. અક્ષયવત વૃક્ષની પાસે કામકૂપ નામનું તળાવ હતું. ચીનના પ્રવાસી હ્યુએન ત્સાંગે તેમની ભારત મુલાકાત દરમિયાન તેમના પુસ્તકમાં આ તળાવનો ઉલ્લેખ કર્યો છે. લોકો આ તળાવમાં સ્નાન કરીને મોક્ષ મેળવતા હતા. આ રીતે મોક્ષ મેળવવા માટે ઘણા રાજ્યોમાંથી લોકો અહીં આવતા હતા અને ઝાડ પર ચડીને તળાવમાં કૂદવાનો પ્રયાસ કરતા હતા. આવું પ્રયાગરાજના પૂજારી અરવિંદે જણાવ્યુ હતુ.
