કોલંબો
એશિયા કપના પ્રારંભ પૂર્વે શ્રીલંકાને ફટકો પડ્યો છે. ટીમના ટોચના ચાર ખેલાડીઓનું ટુર્નામેન્ટમાં રમવું શંકાસ્પદ જણાય છે. ચમીરા અને હસરંગાને ઈજા પહોંચી હોવાથી જ્યારે પરેરા અને ફર્નાન્ડો કોરોનામાં પટકાતા હવે તેઓ એશિયા કપમાં ભાગ લઈ શકશે કે કેમ તે અંગે પ્રશ્ન ઉભો થયો છે. દુષ્મંતા ચમીરાને તાજેતરમાં લંકા પ્રીમિયર લીગમાં (એલપીએલ) ખભામાં ઈજા થઈ હોવાથી તે એશિયા કપ ગુમાવે તેવી શક્યતા છે. આ ઉપરાંત સ્પિનર વાનિંદુ હસરંગાને પણ એલપીએલ ફાઈનલમાં પગમાં સામાન્ય ઈજા થઈ છે જેને પગલે તે બે મેચ ગુમાવી શકે છે. શ્રીલંકા એશિયા કપમાં તેનો પ્રારંભિક મુકાબલો ૩૧ ઓગસ્ટના પલ્લેકલ ખાતે બાંગ્લાદેશ સામે રમશે. શ્રીલંકાના બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા તેમના રમવા અંગે અસમંજસતા સર્જાઈ હતી ત્યાં બેટ્સમેન કુસલ પરેરા અને આવિષ્કા ફર્નાન્ડોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા શ્રીલંકાની તૈયારીને આંચકો લાગ્યો હતો. પરેરા અને ફર્નાન્ડો હાલમાં સારવાર હેઠળ છે અને તેઓ સ્વસ્થ થયા બાદ જ ટીમ સાથે જાેડાઈ શકશે. શ્રીલંકાના ટીમ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે લંકા પ્રીમિયર લીગ ૨૦૨૩ના પાછળના તબક્કામાં આ બંને ક્રિકેટર્સને કોરોના સંક્રમણ થયું હતું.

