કોલ્હાપુર
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં બુધવારે હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા આયોજિત વિરોધ માર્ચ દરમિયાન, પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા સ્ટેટસમાં ઔરંગઝેબની પોસ્ટના વિરોધમાં કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી છે. બે સમુદાયોમાં તણાવ વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને પ્રશાસને ૧૯ જૂન સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. હિન્દુત્વવાદી સંગઠનોએ પણ આજે કોલ્હાપુર બંધનું એલાન આપ્યું છે. હિંદુત્વવાદી સંગઠનોએ હિંદુઓને છત્રપતિ શિવાજી ચોક ખાતે ભેગા થવાનું આહ્વાન કર્યું હતું. વિરોધ કૂચમાં જાેડાવા માટે આજે સવારે નવ વાગ્યાથી જ લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. ધીરે ધીરે ભીડ વધી અને તંગદિલી સર્જાવા લાગી. આ પછી પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે પોલીસને શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો આદેશ આપ્યો છે. થોડી જ વારમાં ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ સમગ્ર મુદ્દે પત્રકારોને સંબોધિત કરવાના છે.આજના કોલ્હાપુર વિરોધ પહેલા રવિવારે છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)માં કેટલાક મુસ્લિમ યુવકોએ સરઘસ દરમિયાન ઔરંગઝેબના પોસ્ટરો સાથે ડાન્સ કર્યો હતો. આ પછી કોલ્હાપુરમાં કેટલાક યુવકોએ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં ઔરંગઝેબની તસવીર મૂકી. હિંદુત્વવાદી સંગઠનોએ આ અંગે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી હતી અને આજે કોલ્હાપુર બંધનું એલાન આપ્યું હતું, જેમાં વાંધાજનક પોસ્ટ કરનારાઓની ધરપકડની માંગ કરવામાં આવી હતી.આજે સવારથી જ ભીડ એકઠી થવા લાગી હતી અને પરિસ્થિતિ તંગ બનવા લાગી હતી. કોલ્હાપુર બંધના કારણે દુકાનો બંધ રહી હતી. પરંતુ દેખાવકારોએ બંધ દુકાનો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. તણાવ વધતો જાેઈને પોલીસે લાઠીચાર્જ કર્યો અને કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી.કોલ્હાપુર પોલીસના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કર્ફ્યુ પહેલેથી જ લાદવામાં આવ્યો છે અને વાંધાજનક પોસ્ટ કરનારા બે લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે પણ વિરોધ કૂચ કરવામાં આવી રહી છે. જેના કારણે તણાવ વધવાની શક્યતા છે. કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું છે કે ઔરંગઝેબના મહિમામંડળને સાંખી લેવામાં આવશે નહીં. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ ઔરંગઝેબને લઇને વિવાદ ચાલી રહ્યો છે. અમે તેની તપાસ કરાવી રહ્યા છીએ.છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં ઔરંગઝેબના મહિમાને સાંખી લેવામાં આવશે નહીં તે નિશ્ચિત છે.આ મુદ્દે ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું કે કોઈ ઔરંગઝેબના પોસ્ટર પર ડાન્સ કરે છે, કોઈ સ્ટેટસ મૂકે છે. જે રાજ્યમાં ઔરંગઝેબને દફનાવવામાં આવ્યો હતો (ઔરંગાબાદમાં ઔરંગઝેબની કબર) ત્યાં કોઈ ઔરંગઝેબનો મહિમા કરવાની હિંમત કરી રહ્યું છે, તે શિંદે ફડણવીસ સરકારની નબળાઈ દર્શાવે છે. ઠાકરેની સરકાર વખતે આવી હિંમત કોઈમાં નહોતી.આ મુદ્દે શરદ પવારે શિંદે-ફડણવીસ સરકારને ભીંસમાં મૂકતાં કહ્યું કે સરકારનું કામ ધાર્મિક સૌહાર્દ જાળવવાનું છે, પરંતુ ભાજપ બે સમુદાયો વચ્ચે તણાવ પેદા કરનારાઓને ભડકાવી રહી છે. ઔરંગાબાદમાં કોઈએ ઔરંગઝેબનું પોસ્ટર બતાવ્યું તો પૂણે અને કોલ્હાપુરમાં શા માટે વિરોધ થઈ રહ્યો છે?


