વલભીપુર
વલભીપુર તાલુકાના મોટાભાગના ગામડાઓમાં સરકારી કે ખુદ ખેડુતો પાસે બારેમાસ ખેતી થઇ શકે તે પ્રકારની હેતુલક્ષી સિંચાઇ યોજના ન હોવાથી ખેત મજુરોની ચોમાસા પછી ખેતી કામ ન મળવાને કારણે નવેમ્બર-ડીસેમ્બર મહિના પછી રોજગારી માટે ફાંફા પડી જતાં હોય છે. મોટાભાગના ખેત મજુરોને છુટક મજુરી અથવા તો ઈંટોના ભઠ્ઠામાં મજુરી કામે જવું પડે છે અથવા અન્ય પરચુરણ મજુરી કામ કરીને જીવન નિર્વાહ ચલાવવો પડે છે.ખેત મજુરોને અડધુ વર્ષ બેકારીના ખપ્પરમાં ખપતા હોવાનું કારણ તાલુકામાં એકપણ સિંચાઇ યોજના ન હોવાથી બારે માસ ખેતી થઇ શકતી નથી. ખેડુતો મે મહિનાના અંતમાં અને જુન માસના પ્રથમ-બીજા અઠવાડીયા દરમ્યાન સારા વરસાદની આશા રાખીને કપાસનું બિયારણ સોપવાનું શરૂ કરે ત્યારથી તે કપાસનો છોડ ઉગે ત્યારે અલગ અલગ ત્રણ તબક્કા દરમ્યાન કપાસના પાકની આસપાસ ઉગી નીકળતું ખડ(ઘાસ)નું નીંદામણ કરવાથી લઇ દવા છંટકાવ કરવા અને ત્યારબાદ કપાસની વીણ કરવા માટે ખેત મજુરોની મોટા પાયે જરૂરીયાત રહેતી હોય છે. જુન થી ડીસેમ્બર માસ સુધી ખેત મજુરોને મજુરી કામ મળે છે તેમાં પણ ચોમાસા દરમ્યાન વરસાદના પ્રમાણ ઉપર આધાર રહે છે.


