ધારાસભ્ય અરવિંદ લાડાણી ખાસ ઉપસ્થિત રહ્યા
ગાયોની સેવા માટે જેમને મુંબઈની કમાણી તજીને માણાવદર કર્મક્ષેત્ર બનાવ્યું છે તેવા માણાવદર અનસુયા ગૌ ધામ અને અનસુયા અન્નક્ષેત્રના સ્થાપક હિતેન શેઠ, મેઘના શેઠ, વિજય શેઠ તથા હરેશ શેઠ પરિવારે ગાયોની સેવા અને ગીર ગાયોના સંવર્ધન ઉછેર માટે 40 વીઘા જમીનમાં સુંદર ગૌધામ ઉભું કરી ગૌસેવા અને માનવ કલ્યાણ સેવાને યજ્ઞ આરંભ્યો છે. આ ગૌધામને ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય વળી આ દિવસે હિતેન શેઠની વર્ષગાંઠ પણ હોવાથી બંનેના સમન્વયરૂપે અનસુયા ગૌધામ ખાતે એક વિશાળ લોકસાહિત્ય કાર્યક્રમ તથા અનસુયા ગૌધામના સંનિષ્ઠ કર્મચારીઓ તેમજ સમાજ માટે જેમણે યોગદાન આપેલ છે તેવા સમાજશ્રેષ્ઠિઓના શીલ્ડ, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને જાહેર સન્માનો કરાયા હતા.
વિશાળ કમ્પાઉન્ડમાં ખીચોખીચ મેદની વચ્ચેના આ કાર્યક્રમને મણવા માટે મુંબઈ, અમદાવાદ, ભાવનગર રાજકોટ અને હોંગકોંગ વગેરે ક્ષેત્ર ગામોમાંથી લોકો ગૌ મહિમા સાંભળવા તથા હિતેન શેઠને મુબારકબાદી દેવા આવ્યા હતા. આ કાર્યક્રમમાં જુદા જુદા સંપ્રદાયના સાધુ, સંતો તેમજ ગૌશાળાઓ ચલાવતા અન્ય ક્ષેત્રોના ગૌ પ્રેમીઓની નોંધનીય હાજરી હતી. શેઠ પરિવારે બહારથી પધારી ખાસ ઉપસ્થિત રહેલા મેમાનોનું પણ અભિવાદન કરી સન્માન કર્યું ત્યારે તેઓએ પણ હિતેન શેઠને ભેટો આપી સ્વાગત સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમમાં માણાવદર મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જાણીતા કેળવણી કાર જેઠાભાઈ પાનેરા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા, ડો.પંકજ જોષી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશ છૈયા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહેશ જસાણી, દર્શન ચશ્મા ગ્રુપના એમ.ડી બીપીન પટેલ તથા એવા અસંખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગાયોની મહત્તા વિશે ઉદબોધનનો કર્યા હતા તથા ગૌધામ ચલાવતા શેઠ પરિવારના વિચારો અને તબકાવારની સ્થિતિ વર્ણવી હતી. રાત્રિના સમયે ગૌ મહિમા ગાતો લોકસાહિત્યનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો તેમાં કલાકારો અનવર મીર, દાદભા પરમાર, જશુબેન આહીરે ગાય માતાના ગુણગાન તથા લોકસાહિત્ય અંતર્ગત વિવિધ પ્રકારના રસની લાહણી કરી હતી

