રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા જામનગર જિલ્લાના જામવંથલી ખાતે યોજાયેલ પંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રભુતામાં પગલાં માંડનાર 100 નવદંપતીઓને સાત ફેરા સમૂહલગ્નોત્સવ યોજના હેઠળ પ્રત્યેક યુગલને રૂ.12,000, 100 કન્યાઓને કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ પ્રત્યેકને રૂ.12,000ની તેમજ સમૂહ લગ્નોત્સવ સમિતિને રૂ.75 હજારની સહાય મળી કુલ રૂ.24.75 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં મંત્રીએ પ્રભુતામાં પગલા માંડનાર 100 નવદંપતિઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર છે.સમાજના લોકો શિક્ષિત હશે તો જ પરિવારો સુખી થશે. દીકરીઓજો શિક્ષિત હશે તો બે પરિવારોને તારશે. કુંવરબાઈનું મામેરૂ યોજના અને સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ યુગલોને મળેલી સહાય તેમના ખાતામાં ડીબીટીના માધ્યમથી ચૂકવવાં આવી છે. તેનાથી તેઓને આર્થિક મદદ મળી છે. કાર્યક્રમમાં મંત્રીએ દેખાદેખી કરવાના બહાને લગ્નમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હોય તે ન કરવાની શીખ આપી હતી. તેમજ સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં રાસ મંડળી દ્વારા કૃતિઓ રજૂ કરવામા આવી હતી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/02/24/fec25ae1-9892-4ca7-8b14-e346fedb91c9_1708767959359.jpg)
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી ગિરીશભાઈ,હસમુખભાઈ હિંડોચા, નાયબ નિયામક (વિકસતી જાતી) પરમારભાઈ, અધિકારીઓ, સંતો – મહંતો, ભરવાડ સમાજના અગ્રણીઓ તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/02/24/34085b78-68c0-454f-b001-c7d31ceb3844_1708767959363.jpg)