Gujarat

હાઈકોર્ટે છુટાછેડા આપવા ઈન્કાર કર્યા બાદ ઓમર અબ્દુલા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની વિમુખ પત્ની પાયલ અબ્દુલ્લાથી છૂટાછેડાની માંગ કરતી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી, ઓમર અબ્દુલ્લાએ હાઈકોર્ટના આ ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી કરી હતી અને પાયલ અબ્દુલ્લાને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો હતો. ઓમર અબ્દુલ્લાએ ફેમિલી કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

હાઈકોર્ટે કહ્યું હતું કે ફેમિલી કોર્ટના આદેશમાં કોઈ ખામી નથી. ઓમર અબ્દુલ્લા તેની પત્ની પર ક્રૂરતાના આરોપો સાબિત કરી શક્યા નથી. જસ્ટિસ સંજીવ સચદેવા અને જસ્ટિસ વિકાસ મહાજનની બેન્ચે કહ્યું હતું કે, “ફેમિલી કોર્ટના આદેશમાં કોઈ ખામી નથી. ક્રૂરતાના આક્ષેપો અસ્પષ્ટ હતા. અમને અપીલમાં કોઈ યોગ્યતા જણાતી નથી અને અપીલ ફગાવી દેવામાં આવે છે.

થોડા સમય પહેલા, દિલ્હી હાઈકોર્ટે નેશનલ કોન્ફરન્સના નેતાને વચગાળાના ભરણપોષણ તરીકે પાયલને દર મહિને ૧.૫ લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત, ઓમર અબ્દુલ્લાને તેમના બે પુત્રોના શિક્ષણ માટે દર મહિને ૬૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે આ આદેશ પાયલ અને દંપતીના પુત્રોની અરજી પર આપ્યો હતો. આ અરજી ૨૦૧૮ ની ટ્રાયલ કોર્ટના આદેશ સામે દાખલ કરવામાં આવી હતી, જેમાં છોકરાઓ પુખ્ત થાય ત્યાં સુધી તેમને અનુક્રમે રૂ. ૭૫,૦૦૦ અને રૂ. ૨૫,૦૦૦ વચગાળાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ઓમર અબ્દુલ્લાએ, હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તેઓ બાળકોની જાળવણીની તેમની ફરજ નિભાવી રહ્યા છે અને તેમની પત્ની સતત તેમની વાસ્તવિક નાણાકીય સ્થિતિને ખોટી રીતે રજૂ કરી રહી છે. ફેમિલી કોર્ટે ઓમર અબ્દુલ્લાને છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ફેમિલી કોર્ટે ઓગસ્ટ ૨૦૧૬માં છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. ઓમરે સપ્ટેમ્બર ૨૦૧૬માં દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ઉમર અને પાયલ અબ્દુલ્લાના લગ્ન વર્ષ ૧૯૯૪માં થયા હતા. ઓમર અબ્દુલ્લાના જણાવ્યા અનુસાર તેઓ ૨૦૦૯થી અલગ રહે છે.