Gujarat

મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી ‘શિક્ષક દિવસ’ની ઉજવણી

મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી ‘શિક્ષક દિવસ’ની ઉજવણી

શિક્ષકો હળવેકથી કાન આમળીને પ્રેમથી બાળકોનું ઘડતર કરે છે
– વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા

અમરેલી ખાતે જિલ્લાકક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ સંપન્ન

જિલ્લા અને તાલુકાકક્ષા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માનઃ જ્ઞાન સાધના
સ્કોલરશીપ પ્રાપ્તકર્તા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત

શિક્ષક પણ એક દાર્શનિક છે, શિક્ષણની સાથે
ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન વિદ્યાર્થીને મળે તે જરુરી
– જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા

અમરેલી તા. ૦૫ સપ્ટેમ્બર,૨૦૨૪ (ગુરુવાર) મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી ‘શિક્ષક દિવસ’ ની દેશવ્યાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન દરેક જિલ્લામાં કરવામાં આવ્યુ હતુ.
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબેન ગજેરા સંકુલ ખાતે યોજાયેલા અમરેલી જિલ્લાકક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
શ્રેષ્ઠ શિક્ષકો વિદ્યાર્થીઓને કઠપૂતળસ, સંગીત અને ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણ આપીને બાળકોનું સર્વાંગીય ઘડતર કરવામાં મદદરુપ થાય છે. જિલ્લાકક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાના ૦૨ (બે) શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક સાથે રુ. ૧૫ હજારનો ચેક આપીને અને તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થયેલા શિક્ષકશ્રીઓનું પણ પારિતોષિક આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
શિક્ષકો ભાવિ પેઢીના ઘડતર થકી ‘રાષ્ટ્રનિર્માણ’ માટે સમર્પિત છે. ગુજરાતે પરંપરાગત શિક્ષણ પદ્ધતિની સાથે અત્યાધુનિક ‘સ્માર્ટ’ ટેકનોલોજી થકી અધ્યનને પણ અપનાવ્યું છે. ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર અને ચરિતાર્થ કરવામાં પાયારુપ ભૂમિકા અદા કરતાં શિક્ષકો તૈયાર કરવા માટે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન’ની સ્થાપના કરીને ગુજરાતે શૈક્ષણિક ક્ષેત્રે એક નવા યુગનો આરંભ કર્યો છે.
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુંકાવાવ વડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, આજનો દરેક વિદ્યાર્થી ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. આપણા શિક્ષકો હળવેકથી કાન આમળીને પ્રેમથી બાળકોનું ઘડતર કરે છે. તેમણે પારિતોષિક વિજેતા તમામ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જણાવ્યુ કે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે દરેક શિક્ષકની મહત્વની ભૂમિકા હોય છે. શિક્ષકોની તમામ ગુણવત્તાઓ સીધી જ તેમના વિદ્યાર્થીઓમાં ઉતરી આવે છે. બાળકોને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવું જરુરી છે. શિક્ષકોનું બહુમાન કરતાં કહ્યું કે, સમાજનો મુખ્ય સ્તંભ શિક્ષક છે, શિક્ષક પણ દાર્શનિક છે. જિલ્લા કલેકટર શ્રી દહિયાએ, પોતાની શિક્ષણયાત્રાના સંસ્મરણો તાજા કર્યા હતા. આ તબક્કે પારિતોષિક વિજેતા શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લાકક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોષી, શ્રીમતી શાંતાબેન ગજેરા સંકુલ અમરેલીના નિયામક શ્રી વલ્લભભાઈ રામાણી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મિયાણી, બી.આર.સી અને સી.આર.સી શ્રી, અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મેશ વાળા ૦૦૦