મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર સ્થિત અંધ કન્યા પ્રકાશ ગૃહમાંથી દીવડાની ખરીદી કરી હતી. આ દીવા અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. દિવ્યાંગ દીકરીઓની આ કલાને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દાત ભાવથી મુખ્યમંત્રી શ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ દીવડાઓની ખરીદી કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદના ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, અ.મ્યુ.કોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, અંધ કન્યા પ્રકાશ ગૃહના પ્રેસિડેન્ટ શ્રી ક્ષિતિશ શાહ, સંસ્થાના મેનેજિંગ કમિટી ટ્રસ્ટી શ્રી રાજન હરિવલ્લભદાસ, સંસ્થાના એડમિનિસ્ટ્રેટર શ્રીમતી સ્મિતા શાહ તેમજ સ્થાનિક રાજકીય અગ્રણીઓ, શિક્ષકો, સંસ્થાની કન્યાઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.