સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્રને સાર્થક કરવા ટીમ રાજકોટ કટિબદ્ધ છે. સમગ્ર જિલ્લો સ્વચ્છ, સુંદર અને લીલોછમ રહે તે માટે રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જામજોધપુર તથા જસદણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
ભારત સરકારશ્રી દ્વારા સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ ના ભાગરૂપે તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૦૨ ઓકટોબર દરમ્યાન “સ્વચ્છતા પખવાડીયા” નું આયોજન કરાયું છે. જેનાં ભાગરૂપે નાગરિકો સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની રહ્યા છે.

જામજોધપુર નગરપાલિકા દ્વારા હરસિદ્ધિ મંદિર, મેઇન બજાર રોડ બસ સ્ટેન્ડ, મિનિ બસ સ્ટેન્ડ તેમજ જાહેર માર્ગો પર સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જસદણ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. તથા સમગ્ર શહેર સ્વચ્છ રહે તે માટેની કટિબદ્ધતા દાખવી લોકોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.

