ડૉ. લોગનાથન મુરુગને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે ડૉ. લોગનાથન મુરુગને કહ્યું હતું કે તેમનામાં વિશ્વાસ રાખવા બદલ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આભારી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, માહિતી અને પ્રસારણ મંત્રાલય સરકાર અને દેશની જનતા વચ્ચે સંચાર સેતુ તરીકે કામ કરીને સરકારની નીતિઓને અમલમાં મુકવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ડૉ. મુરુગને જણાવ્યું કે, સરકાર ગરીબ કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩ કરોડ ગ્રામીણ અને શહેરી મકાનો બનાવવાના કેબિનેટના ર્નિણયથી તે વાત સ્પષ્ટ થાય છે. સચિવ શ્રી સંજય જાજુ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રાલય હેઠળના મીડિયા એકમો દ્વારા ડૉ. મુરુગનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી ડૉ. લોગનાથન મરુગનનો જન્મ તામિલનાડુના નમક્કલ જિલ્લાના કોનુરમાં તેલુગુ ભાષી અરુણથિયાર પરિવારમાં થયો હતો. ૨૯ મે ૧૯૭૭ના રોજ જન્મેલ લોગનાથન મરુગને તમિલનાડુ ડૉ. આંબેડકર લૉ કૉલેજ, ચેન્નાઈમાં કાયદાની ડિગ્રી મેળવી હતી અને મદ્રાસ યુનિવસિર્ટીમાં તેમની માસ્ટર ડિગ્રી અને પીએચડી મેળવી હતી. કૉલેજના દિવસો દરમિયાન હિન્દુત્વની વિચારધારાથી પ્રેરિત થઈ તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને બાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા.
તેમણે મદ્રાસ હાઈકોર્ટમાં ભારત સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે સેવા આપતા ઓછામાં ઓછા ૧૫ વર્ષ સુધી કાયદાની પ્રેક્ટિસ કરી છે . વકીલ તરીકે તેઓ ભાજપ વતી વિવિધ કેસોમાં હાજર રહ્યા છે. મુરુગન જ્યારે આરએસએસમાં હતા ત્યારે તેમણે આરએસએસના અનુસૂચિત જાતિ (એસસી) વિભાગના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે સેવા આપી હતી.
૨૦૧૧ની તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં , તેમણે રાસીપુરમ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી પરંતુ તેમને માત્ર ૧૮૦૦ મત મળ્યા હતા. તેમણે થોડા સમય માટે કેરળના પ્રભારી તરીકે સેવા આપી હતી . તમિલનાડુમાં નીટ સામેના આંદોલનો દરમિયાન , મુરુગને દાવો કર્યો હતો કે એસ. અનીથાની આત્મહત્યામાં ‘બાહ્ય પરિબળો’ હતા અને કહ્યું હતું કે નીટ જરૂરી છે. મુરુગને દાવો કર્યો હતો કે જાન્યુઆરી ૨૦૨૦માં તમિલનાડુમાં લવ જેહાદમાં વધારો થયો હતો. ૧૨ માર્ચ ૨૦૨૦ ના રોજ, તેમને ભાજપ તમિલનાડુ એકમના વડા બનાવવામાં આવ્યા હતા. આ પદ સંભાળનાર તેઓ દલિત સમુદાયમાંથી પ્રથમ વ્યક્તિ છે.

