ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ખાસ વયોવૃદ્ધ યાત્રિકો અને બ્લડ પ્રેસર, ડાયાબિટીસના દર્દીઓએ આરોગ્યની વિશેષ કાળજી રાખવી
છાતીમાં દુખાવો, બેચેની કે ગભરામણ થાય તો ત્વરિત આરામ કરવો, પરિક્રમા રૂટ પરના હંગામી દવાખાનાનો સંપર્ક કરવો
પરિક્રમાર્થીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટનો અનુરોધ
ગિરનાર લીલી પરિક્રમાનો ૩૬ કિલોમીટરનો રૂટ લાંબો, કઠિન અને ચઢાણ વાળો હોવાથી યાત્રિકોએ આરોગ્યની વિશેષ સંભાળ લેવી જરૂરી બની રહે છે. ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ગિરનાર લીલી પરિક્રમના રુટ પર તંત્ર દ્વારા ૧૦ જેટલા હંગામી દવાખાના પણ શરૂ કરવામાં આવ્યા છે.
આ સંદર્ભે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ શ્રી કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રિકોએ આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. ખાસ કરીને વયોવૃદ્ધ યાત્રિકો ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ કે હૃદય રોગ માટે સર્જરી કરાવી છે તેવા ભાવિકોએ આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. તેમણે નિયમિત દવા લેવી જરૂરી છે. ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરાયેલ હોય તો નાઇટ્રો ગ્લિસરીનની ગોળી જીભ નીચે રાખવી તેમજ એસ્પિરિનની ટેબલેટ સાથે રાખી શકાય.
તેમણે કહ્યું કે, પરિક્રમા દરમિયાન છાતીમાં દુખાવો, બેચેની લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા વગેરે લક્ષણ જણાય તો ત્વરિત ચાલવાનું બંધ કરી આરામ કરવો જોઈએ. સાથે જ તંત્ર દ્વારા જે હંગામી દવાખાના ભાગ કરવામાં આવ્યા છે તેનો સંપર્ક કરવો જોઈએ.
ગિરનાર લીલી પરિક્રમાના ૩૬ કિલોમીટરના રૂટમાં ચાલતી વખતે જરા પણ તકલીફ જણાય તો તાત્કાલિક આરામ કરવો જોઈએ અને મેડિકલ ટીમનો સંપર્ક કરી શકાય. યાત્રાળુઓએ પરિક્રમા દરમિયાન સમયાંતરે વિશ્રામ કરવો જોઈએ. આ લાંબા રૂટ દરમિયાન પાણી પીતા રહેવું જોઈએ. પીવાના પાણી માટે ORSના પેકેટ પણ સાથે રાખી શકાય. તેમણે ઉમેર્યું કે, યાત્રિકો ચાલતા ચાલતા બેભાન કે મૂર્છિત થઈ જાય તો CPR દ્વારા પણ યાત્રિકોનો જીવ બચાવી શકાય છે.
ઉપરાંત વયોવૃદ્ધ યાત્રાળુઓ યુવાનો સાથે રાખે તે હિતાવહ છે, તેમજ યુવાનોએ પણ કોઈ ભાવિકોને તકલીફ જણાય તો, નજીકના દવાખાના ખાતે પહોંચાડવા જોઈએ. તેમ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે અંતમાં ઉમેર્યું હતું.