Gujarat

ડેંગ્યુનાં 9, ટાઇફોઇડના 6, મેલેરિયાનો 1 કેસ સાથે વિવિધ રોગના બે હજારથી વધુ કેસો નોંધાતા ફોગિંગની કામગીરી તેજ

રાજકોટમાં ચોમાસાની શરૂઆતે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ગત સપ્તાહનાં 2,112 સામે ચાલુ સપ્તાહે પણ વિવિધ રોગના મળી 2,089 કેસ નોંધાયા છે. તેમાં પણ ડેંગ્યુ 9 અને ટાઇફોઇડ તાવના 6 કેસ તેમજ મેલેરિયાનો 1 કેસ સામે આવ્યો છે.

તો શરદી-ઉધરસનાં સૌથી વધુ 1,106 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે, આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 10,000થી વધુ હોવાની શક્યતા છે.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2,089 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઊધરસનાં ગત સપ્તાહનાં 1,162 કેસ સામે આ સપ્તાહે 1,106 કેસ, ઝાડા-ઊલટીનાં 452 કેસ અને સામાન્ય તાવનાં પણ 488 સામે 515 કેસ નોંધાયા છે.

મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 9 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં ટાઈફોડ તાવનાં 6 દર્દીઓ તેમજ 1 કેસ મેલેરિયાનો સામે આવતા ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.