ખંભાળિયામાં ગઈકાલે સોમવારે રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવનું ખાસ આગમન થયું હતું. કાયદો અને વ્યવસ્થાને લગતી કામગીરી સાથે તેમની ઉપસ્થિતિમાં જિલ્લાના જુદા જુદા આસામીઓ દ્વારા નોંધાવાયેલી અરજીઓ સંદર્ભે પોલીસ દ્વારા બે ડઝન જેટલા આસામીઓના રૂપિયા 19.45 લાખની કિંમતનો મુદ્દામાલ તેમજ આને લગતા કોર્ટના હુકમ સુપ્રત કરી અને “તેરા તુજકો અર્પણ” સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રહેતા આસામીઓ દ્વારા તેઓનો મોબાઈલ સહિતનો કિંમતી મુદ્દામાલ ગુમ થવા સહિતની બાબતે પોલીસને અરજી કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડી.વાઈ.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા સાઇબર ક્રાઈમ સેલ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન 24 અરજદારોના કુલ રૂપિયા 19,44,781 જેટલી નોંધપાત્ર રકમનો મુદ્દામાલ પરત અપાવવામાં સફળતા મેળવી હતી.

જેને અનુલક્ષીને સોમવારે રાજકોટ રેન્જના પોલીસ મહા નિરીક્ષક અશોક યાદવના હસ્તે નામદાર કોર્ટમાંથી મેળવેલા હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગરિકો દ્વારા ગુમ થયેલા પોતાના મોબાઈલ ફોન અંગેની આપવામાં આવેલી અરજી સંદર્ભે પોલીસ તંત્રએ સંકલનની કામગીરીથી છેલ્લા દસ દિવસની જહેમત દરમિયાન ખાસ ડ્રાઇવ યોજી અને રૂપિયા 4,10,382ની કિંમતના 26 મોબાઈલ ફોન શોધી કાઢી અને મૂળ માલિકને પરત સોંપવાની નોંધપાત્ર કામગીરી કરી હતી. આને અનુલક્ષીને રેન્જ અશોકકુમાર યાદવ દ્વારા જિલ્લાના નાગરિકોને સાબર ક્રાઇમનો ભોગ ન બને તે બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી.

આ સાથે નાગરિકોએ પોતે પણ પોતાના અનુભવના આધારે અન્ય નાગરિકોને આવા સાયબર ફ્રોડનો ભોગ ન બને તે હેતુથી સાવચેત રહેવા તેમજ સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા ફેલાવવા અપીલ કરી હતી. સાયબર ક્રાઇમને લગતા ગુનાઓને અંકુશમાં લાવવા માટે અહીંનો જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગ લોકોને મદદરૂપ બની રહ્યો છે.

