જામનગર માં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર યુવા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા સતત 20 માં વર્ષે ગૌમાતા અને શ્વાન માટે નું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને 1500 કિલો સામગ્રીમાંથી લાડવા તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જામનગર ના કૃષ્ણનગર વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિક કૃષ્ણનગર યુવા ગ્રુપના ભાઈઓ અને મહિલા મંડળના બહેનો સહિતના 50 થી વધુ સભ્યો દ્વારા છેલ્લા 20 વર્ષથી સેવા કાર્ય હાથ ધરાઈ રહ્યું છે, અને જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં જાહેરમાં ફરતી ગૌમાતા તેમજ શ્વાનને ચોમાસા પહેલા પ્રસાદ રૂપે લાડવા ખવડાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, જે પરંપરા આ વખતે 20માં વર્ષે પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે.

બન્ને ગ્રુપના તમામ સભ્ય દ્વારા 900 કિલોગ્રામ ઘઉં, 300 કિલોગ્રામ ગોળ અને 300 કિલો તેલ વગેરે ના મિશ્રણ સાથે કુલ 1500 કિલોના લાડુ બનાવવામાં આવ્યા છે, અને તેનું પ્રસાદ રૂપે ગૌમાતા ને તેમજ શ્વાનને વિતરણ કરાઈ રહ્યું છે.

માત્ર કૃષ્ણનગર વિસ્તારમાં વસવાટ કરતા બંને સંસ્થાના સભ્યો દ્વારાજ પ્રતિવર્ષ સમગ્ર ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે. અને જાતેજ ઠેર ઠેર ફરી ને ગૌમાતા અને શ્વાન ને શોધી ને તેનું વિતરણ કરી પ્રેરણાંદાયી સેવા યજ્ઞ હાથ ધરાયો છે.


