Gujarat

બાળરોગ વિભાગમાં પાણીનાં કુલર પર ‘કરંટ લાગે છે, અડકવું નહી’ની સૂચનાનું સ્ટીકર લગાવ્યું, ભણેલાને કરંટ લાગશે, અભણને નહિ!

વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એટલે સયાજી હોસ્પિટલ કે જ્યા રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે, તેઓને પીવાના પાણીની જરૂરિયાત ઊભી થાય અને તેનાં માટે હોસ્પિટલમાં ઠંડા પાણીનાં કૂલર મૂકવામાં આવ્યા છે.

જો કે, બાળરોગ વિભાગનાં વોર્ડ 16માં મૂકેલ એક કૂલર પર આશ્ચર્ય પામે તેવી સૂચના હતી. જેમાં લખ્યું છે કે, કરંટ લાગે છે અડકવું નહીં.

અભણ વ્યક્તિ કહ્યું- મેં તો પાણી ભર્યું, મને કરંટ ન લાગ્યો

આ બાબત દિવ્ય ભાસ્કરને ધ્યાને આવતા અમે આ વોર્ડના એન્ટ્રી ગેટ પર પહોંચ્યાં, જ્યાં બાળ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ત્યાંથી એક દર્દીના પરિવારના એક સભ્ય પાણીની બોટલ ભરીને પસર થતાં હતાં. ત્યારે પૂછવામાં આવ્યું કે, અહીંયાં પાણી આવે છે?

તો તેઓએ કહ્યું કે, હા પાણી તો હું ભરીને આવ્યો. ત્યારે બીજો સવાલ કર્યો અને કહ્યું કે, ત્યાં સૂચના છે કે કરંટ લાગે છે, અડકવું નહિ તે તમે જોયું? ત્યારે તેઓએ જવાબ આપતા કહ્યું કે, સાહેબ… અડક્યા વગર કંઈ રીતે પાણી ભરવું અને આ મને કયા વાંચતા આવડે છે, ત્યારે હું પણ ચોંકી ગયો હતો. આ વિભાગ સહિત સમગ્ર હોસ્પિટલ પરિસરમાં આવતા દર્દીઓ મધ્યમ કે ગરીબ વર્ગના અને ટ્રાયબલ એરિયામાંથી આવતા હોવાથી જોઈએ તેટલા શિક્ષિત હોતા નથી. ત્યારે અહીંયાં અનેક સવાલો ઉભા થાય છે કે શું આ પાણીનાં કુલરમાં ખરેખર કરંટ લાગે છે તો શા માટે અહીંયાં વપરાશમાં રાખવામાં આવ્યું છે?

શું અહી સારવાર માટે આવતાં દર્દીઓ સારવાર બદલે જીવનું જોખમ છે?, નિષ્ણાત ડોક્ટરો આ બાબતે અજાણ હશે?, અહીંયાથી કોઈ હોસ્પિટલ તંત્રના અધિકારીઓ પસાર નહિ થતાં હોય? જો કૂલર બગડેલ છે તો શા માટે અહીંયાથી હટાવી કે બંધ કરી દેવામાં આવતુ નથી? જો કોઈ વ્યક્તિને કરંટ લાગશે તો આ માટે જવાબદાર કોણ? આવાં અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.