આ માટે નગરપાલિકાએ નોટીસ બહાર પાડી શહેરીજનોના વાહન વેરા સામે વાંધાઓ સૂચનો માંગ્યા છે. નવા ખરીદાયેલ વાહનો પર વન ટાઇમ ટેક્ષના નગરપાલિકાના નિર્ણયનો પ્રજામાંથી ખૂબ મોટો વિરોધ ઉઠ્યો છે. અને આ નોટીસ સામે ચેમ્બર્સ ઓફ કોમર્સ લેખિતમાં વાંધો પણ રજૂ કર્યો છે.
જેતપુરની હદ વિસ્તારમાં રહેતા કોઈ પણ નાગરિક નવું વાહન ખરીદે તો તેઓને વન ટાઈમ વાહન ટેક્ષ ભરવો પડશે. જેમાં દ્વિ ચક્રીય વાહનથી લઈને ઓટો રીક્ષા, મોટરકાર, સ્કૂલ બસ તેમજ હેવી વાહનો માટે એક હજારથી લઈ પાંચ હજાર સુધીનો વેરો વાહન ખરીદતી વખતે નગરપાલિકાને ભરવાનનો અને આ માટે નગરપાલિકા દ્વારા દૈનિક પેપેરોમાં નોટીસ પ્રસિદ્ધ કરી નગરપાલિકાના નિર્ણય સામે શહેરીજનોને વાંધો કે સૂચન હોય તો ત્રીસ દિવસમાં નગરપાલિકામાં લેખિતમાં રજુઆત કરવી તેવું જણાવવામાં આવ્યું છે.
નગરપાલિકાના તઘલખી નિર્ણય સામે પ્રજામાંથી ખૂબ મોટો વિરોધનો વંટોળ ઉભો થયો છે. પ્રજાએ એક સુરમાં જણાવેલ કે, ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા પ્રજા પર તોતિંગ કમરતોડ ભૂગર્ભ વેરો નાખેલ તેમાંથી પ્રજાને હજુ કળ વળી નથી ત્યાં વાહન વેરો નાખવાનો નગરપાલિકાનો નિર્ણય સાવ ખોટો છે. નગરપાલિકા પ્રજાને સફાઈ, સારા અને પાકા રસ્તા આપવાની સુવિધા આપવામાં પેલાંથી જ ઉણી ઉતરી છે એટલે વેરો ઘટાડવાનો બદલે બીજા વેરાઓ નાખતી જાય છે. આ માટે ચેમ્બર્સ ઓફ કોમર્સ , જેતપુર વકીલ મંડળ દ્વારા નગરપાલિકામાં લેખિતમાં વિરોધ કરીને રજુઆત કરેલ કે, હાલ નગરપાલિકા વહીવટદારથી ચાલતી હોય પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિનું શાસન ન હોય જેથી આ નિર્ણયની અમલવારી મોકૂક રાખવી.
જ્યારે શહેરના ઘણા સામાજિક સંગઠનો દ્વારા વાહન વેરાનો વિરોધ કરવા ચોપનીયા તૈયાર કરી તેમાં જે તે શહેરીજન પોતાનું નામ, સરનામું લખી નગરપાલિકામાં આપી દયે તેવું પણ વાહન વેરાના વિરોધની કામગીરી શરૂ કરી છે. હાલમાં આ વેરાના વિરોધમાં પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ નોટીસ પરત નહિ લેવાય તો પ્રજા નગરપાલિકા સામે ધરણાના કાર્યક્રમો પણ કરશે.

