જુનાગઢ રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા જ્ઞાતિના તેજસ્વી છાત્રોના સન્માન થયા
તા.૧૪-૭-૨૦૨૪ ના રોજ રા.બ્રા.વિદ્યાર્થી ભુવન જુનાગઢ ખાતે ગત વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠતમ ગુણાંકન સાથે ઉતિર્ણ થનાર તેજસ્વી બાલદેવોને સન્માનિત કરવા માટે જુનાગઢ જ્ઞાતિ સેવા મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
સૌ પ્રથમ માંગલિક ભાવો સાથે ટેકનોલોજીના સંગીતના માધ્યમથી જ્ઞાતિની બાલિકાઓએ સરસ્વતી માતાને પ્રાર્થના સાથે આરાધના કરી. બાદ મંચસ્થ મહાનુભવો તથા આમંત્રિતોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય. બાદ જ્ઞાતિ સેવા મંડળના પ્રતિનિધિ કિશોરભાઈ પાઠકે ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ સેવા મંડળના સભ્યોએ આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરેલ.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો પૂ.નિલકંઠસ્વામી (ગાદીપતિ જેતપુર), ગિજુભાઈ ભરાડ (શિક્ષણવિદ્), જોશીબાપા (સ્થાપક હરિઓમ વૃદ્ધાશ્રમ) એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે જે સમાજની એકતા એ સમાજ વિકસિત, વ્યક્તિના જીવનમાં શુદ્ધ વિચારો, શક્ય તેટલા બીજાને ઉપયોગી બનવું, સંતાનોને પ્લાનિંગ સાથે વ્યવસાય માં જોડી આગળ વધવું, દરેક માનવીનું મન કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષની તાકાત માનવીના વિચારો ઉપર અવલંબન છે. હંમેશા વિવાદ નહીં બલ્કે સંવાદથી શિખરો સર કરી ધાર્યા પરિણામ મેળવી શકાય. આપણું મન કલ્પતરુ છે, જેમાં અગાધ શક્તિઓ સંચરેલી છે. વાણી અને વિચાર એ મનુષ્યની અણમોલ ભેટ છે. સારા પુસ્તકો વાંચનારના વિચારો ઉત્તમ હશે. પરિવાર, જ્ઞાતિમાં સંપ હશે તો ચોક્કસ પરિણામ આવશે. માતા સર્વોચ્ચ યુનિવર્સિટી છે. એક માતા ૧૦૦ શિક્ષકોની ગરજ સારે છે.શિક્ષણ સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે.
ત્યારબાદ ધો.૧થી૧૨ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક એ ઉત્તેર્ણ થનાર તમામ બાલદેવોને શૈક્ષણિક કીટ (સ્કુલબેગ, પ્રમાણપત્ર, શિલ્ડ તથા અન્ય શૈક્ષણિક ઉપકરણો) મંચસ્થ મહાનુભવો, આમંત્રિત મહેમાનો, સેવા મંડળના સભ્યશ્રીઓ તેમજ જૂનાગઢ મહિલા મંડળ બહેનોના વરદ હસ્તે બાળકોને અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ. સાથો સાથ સ્કાઉટ ગાઈડ ક્ષેત્રે જવલંત સફળતા મેળવનાર મૌલિક મહેતાને પૂ.નિલકંઠ સ્વામી એ પુષ્પમાળા પહેરાવી, પ્રમાણપત્ર અર્પણ કરી આશીર્વાદ પાઠવેલ.
કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતો શ્રીભીખાભાઈ જોશી (પૂર્વ ધારાસભ્ય), સી.વી.જોશી (જનતાકી જાણકારીના પત્રકાર વિસાવદર), વિનુભાઈ જોશી (પત્રકાર), શશીકાંતભાઈ બોરીસાગર (જ્ઞાતિ પ્રમુખ જુનાગઢ), ભાનુભાઈ જોશી (આનંદધારા ચાપરડા), જયેશભાઈ ભરાડ (સંચાલક ભરાડ સ્કૂલ), ભાનુશંકર ભાઈ જોશી (નિવૃત્ત ડી.વાય.એસ.પી.), જ્ઞાતિ અગ્રણીઓ હરેશભાઈ રાજ્યગુરુ, નટુભાઈ બોરીસાગર, ભાગ્યવાનભાઈ મહેતા, રમેશભાઈ મહેતા, લક્ષ્મીકાંતભાઈ મહેતા, પ્રો.ભરતભાઈ જોશી તથા બહોળી સંખ્યામાં જ્ઞાતિ ભાઈઓ, બહેનો તથા બાલદેવો ઉપસ્થિત રહેલ.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાજ્ય,રાષ્ટ્રીય એવોર્ડી શિક્ષક એલ.વી.જોશી એ કરેલ. અંતમાં રાજગોર જ્ઞાતિ સેવા મંડળના પ્રમુખ હરેશભાઈ પંડ્યા એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ મહાનુભવો, આમંત્રિતો તથા કાર્યક્રમમાં સખત મહેનત કરનાર સેવા મંડળના તમામ સભ્યશ્રીઓ તથા ઉપસ્થિત જ્ઞાતિ બંધુઓ, માતાઓ, બહેનો અને વિદ્યાર્થીઓએ આપેલ હાજરી તેમજ સહકાર બદલ અંતઃકરણથી આભાર વ્યક્ત કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સેવા મંડળના સભ્યો પ્રો.ભરતભાઈ દવે, વિષ્ણુભાઈ, કિશોરભાઈ, સુરેશભાઈ, ગણેશભાઈ, પરેશભાઈ, દેવેશભાઈ, જીતુભાઈ, વિશાલભાઈ, ઋષિ વિશ્વાસ, જય, શુભમ અને વિવેકએ ખૂબ જ જહેમત ઉઠાવેલ.બાદ આહાર વિધિ સાથે કાર્યક્રમ સંપન્ન જાહેર થયેલ.
સી.વી. જોશી વિસાવદર








