ભરૂચ જિલ્લામાં દહેજ અંકલેશ્વર પાનોલી ઝઘડિયા જેવા વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક વસાહતોમાં ઘણા ઉધોગો કાર્યરત છે. આ ઔદ્યોગિક વસાહતોમાં આવેલ ઘણી કેમિકલ કંપનીઓ દ્વારા કંપનીમાં ઉત્પન્ન થતું કેમિકલ યુક્ત વેસ્ટ પાણી જાહેરમાં છોડાતું હોવાનું હવે જાણે સામાન્ય બન્યું છે,ત્યારે દહેજ જીઆઇડીસીની બેસ્ટ વેલ્યુ નામની કંપની દ્વારા જાહેરમાં વરસાદી કાંસમાં પાણી છોડવાનું ચાલુ રહેતા એક જાગૃત નાગરીકે આ બાબતે જીપીસીબીને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

વિગતો મુજબ વાગરા તાલુકાના કડોદરા ગામની હદમાં આ બેસ્ટવેલ્યુ કંપની આવેલ છે, આ કંપની અગાઉ પણ પાણી બહાર કાઢવાના વિવાદમાં આવી હતી, અને આજરોજ બેસ્ટવેલ્યુ કંપની દ્વારા કંપનીની બહાર પાણી કાઢવામાં આવતું હોવાનું જણાતા કડોદરા ગામના એક જાગૃત નાગરિક દ્વારા કડોદરા ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી,જેથી તાત્કાલિક સરપંચ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કંપનીના જવાબદાર અધિકારી સાથે મુલાકાત કરી હતી. સરપંચ દ્વારા બેસ્ટવેલ્યુ કંપનીના અધિકારી સાથે વાતચિત કરતા બેસ્ટવેલ્યુના અધિકારી દ્વારા સરપંચને ગોળ ગોળ વાત કરીને જણાવાયું હતું કે અમારી કંપની દ્વારા આવું કોઈ પાણી બહાર કાઢવામાં આવતું નથી.

સરપંચ દ્વારા જણાવાયા મુજબ અગાઉ પણ કંપનીમાંથી પાણી કાઢવામાં આવ્યું હતું અને તેના પગલે ગ્રામ પંચાયત કડોદરા દ્વારા કંપનીને નોટીસ પણ આપવામાં આવી હતી.આજે કંપની દ્વારા ફરીથી આવું કૃત્ય કરવામાં આવ્યું છે તે ખરેખર ગેરવાજબી હોવાનું સરપંચે જણાવ્યું હતું. ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા સરપંચને સાથે રાખીને કંપની દ્વારા જ્યાંથી પાણીનો નિકાલ કરવામાં આવે છે તે સ્થળ પર લઈ જઈને બતાવતા સરપંચ દ્વારા તાત્કાલિક લેખિતમાં કંપનીને બીજી વાર નોટિસ આપી હતી.અને નોટિસમાં સ્પષ્ટપણે જણાવ્યુ હતુંકે ૩ દિવસમાં આ પાણી બંધ કરવામાં નહિ આવેતો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે બેસ્ટવેલ્યુ કંપની દ્વારા કંપની બહાર કાઢવામાં આવી રહેલ પાણી ખોટી રીતે કંપની બહાર નિકાલ કરવામાં આવે છે? જીપીસીબીનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાય તેમ હાલતો જણાઇ રહ્યું છે.
વિરલ ગોહિલ, ભરૂચ

