ટીમમાં એલ રાહુલની સ્થાને દેવદત્ત પડ્ડિકલને સામેલ કરાયો
મુંબઈ,
ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારથી શરૂ થનારી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ અગાઉ ભારતીય ટીમનો સિનિયર બેટ્સમેન કે એલ રાહુલ અનફિટ જાહેર થયો છે અને ઇજાને કારણે રમી શકશે નહીં. તે પોતાની ઇજામાંથી હજી સુધી સંપૂર્ણ ફિટ થયો નથી. ત્રીજી ટેસ્ટ માટે રાહુલને સ્થાને દેવદત્ત પડ્ડિકલને ભારતીય ટીમમાં સામેલ કરાયો છે. આ અગાઉ રાહુલ વિશાખાપટનમ ખાતેની ટેસ્ટમાં પણ રમી શક્યો ન હતો. દેવદત્ત પડ્ડિકલ વર્તમાન ડોમેસ્ટિક સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
ભારતીય ક્રિકેટ બોર્ડના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે કે એલ રાહુલ હજી સુધી રાજકોટ પહોંચ્યો નથી. રવીન્દ્ર જાડેજા ટીમની સાથે જાેડાઈ ચૂક્યો છે. ફિટનેસની શરત હંમેશાં રહેતી હોય છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમને હજી સુધી તેની ફિટનેસ અંગે આત્મવિશ્વાસ નથી. અગાઉ પસંદગીકારોએ ઇંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ માટેની ટીમ જાહેર કરી તેમાં રાહુલ અને રવીન્દ્ર જાડેજા બંનેને સામેલ કર્યા હતા પરંતુ સાથે સાથે બંને ફિટ થાય તો જ સામેલ થશે તેવી શરત રાખી હતી.
બીજી તરફ તાજેતરમાં જ રમાયેલી રણજી ટ્રોફી મેચમાં દેવદત્ત પડ્ડિકલે ૧૫૭ રનની ઇનિંગ્સ રમી હતી અને એ સમયે પસંદગી સમિતિના ચેરમેન અજિત અગરકર તેની રમત નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ૨૩ વર્ષીય પડ્ડિકલ વર્તમાન સિઝનમાં સારા ફોર્મમાં રમી રહ્યો છે. પંજાબ સામે ૧૯૩ રન ફટકાર્યા બાદ તેણે ગોવા સામેની મેચમાં ૧૦૩ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત ઇંગ્લેન્ડ લાયન્સ સામે તાજેતરમાં રમાયેલી સિરીઝમાં તેણે ભારત-એ ટીમ વતી રમતાં ૧૦૫, ૬૫ અને ૨૧ રનની ઇનિંગ્સ રમી હતી.
ત્રીજી ટેસ્ટ માટેની ભારતીય ટીમ વિષે જણાવીએ, રોહિત શર્મા (સુકાની), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સરફરાઝ ખાન, રજત પાટીદાર, રવીન્દ્ર જાડેજા, કે એસ ભરત, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, મુકેશ કુમાર, આકાશદીપ, દેવદત્ત પડ્ડિકલ.