Gujarat

તેલંગાણા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય વધારવાની માંગ કરી

લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને હવે ત્રીજા તબક્કાનું મતદાન ૭ મેના રોજ થવાનું છે. આગામી દિવસોમાં આકરી ગરમીને જોતા હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય વધારવાની માંગ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે, હવામાન વિભાગની ગાઈડલાઈન મુજબ લોકોને બપોરે ૧૨ થી ૪ વાગ્યાની વચ્ચે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.

તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીએ શનિવારે ચૂંટણી પંચ (ઈઝ્ર)ને મતવિસ્તારમાં મતદાનનો સમય સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી વધારવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં કાળઝાળ ગરમીને જોતા મતદાનની ટકાવારી ઘટી શકે છે. તમને જણાવી દઈએ કે, તેલંગાણામાં ૧૩મી મેના રોજ ચોથા તબક્કા માટે ૧૭ લોકસભા સીટો માટે મતદાન થવાનું છે. કોંગ્રેસ પાર્ટીને ડર છે કે લોકો આકરી ગરમીને કારણે મતદાન કરવાનું ટાળશે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજને સંબોધિત તેમના પત્રમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જી નિરંજનએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ગેઝેટ સૂચના મુજબ ૧૩ વિધાનસભા મતવિસ્તારો સિવાય સવારે ૭ વાગ્યાથી સાંજે ૫ વાગ્યાની વચ્ચે ચૂંટણી યોજાશે જ્યારે ૧૭ સંસદીય મતવિસ્તારોમાં સવારે ૭ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી જ ચૂંટણી યોજાશે. વાસ્તવમાં કાળઝાળ ગરમીને જોતા ભારતીય હવામાન વિભાગ એ તેલંગાણાના વિવિધ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, અધિકારીઓ લોકોને એવી પણ સલાહ આપી રહ્યા છે કે જ્યાં સુધી તાત્કાલિક જરૂરિયાત ન હોય ત્યાં સુધી બપોરે ૧૨ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી તેમના ઘરની બહાર ન નીકળો.