Gujarat

વડોદરા વન વિભાગે એક મહિનામાં 20થી વધુ મગર રેસ્ક્યૂ કર્યા, સરીસૃપોને પણ પકડ્યા

ચોમાસામાં શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પાણીનું જળસ્તર વધી જતાં મગરો કિનારાના રહેણાંક વિસ્તારોમાં ધસી આવ્યા છે. ત્યારે વડોદરા રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા છેલ્લા એક મહિનામાં 20થી વધુ મગરો રેસ્ક્યૂ કરી પુનઃ સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યા છે. આજે સવારે સેન્ટ્રલ જેલમાં વિશ્વામિત્રી નદીમાંથી આવી પહોંચેલા 3 ફૂટના મગરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીમાં ખૂબ મોટી સંખ્યામાં મગરો છે.

જે મગરનું ઘર કહેવાતું હોય છે. આ વખતે વડોદરા શહેરમાં 24 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું હતું. પરિણામે વિશ્વામિત્રી નદી અને વરસાદી કાંસોમાંથી મગરો અને ઝેરી-બિન ઝેરી સરીસૃપો રહેણાંક વિસ્તારોમાં ધસી આવ્યા હતા. વડોદરા RFO કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં નાના-મોટા મગરો વસવાટ કરે છે.

જ્યારે નદીમાં પાણીનુ જળસ્તર વધે છે. ત્યારે મગરો નદી કિનારાના વિસ્તારોમાં આવી જાય છે. ચોમાસામાં મગરો વધુ પ્રમાણમાં નદીમાંથી બહાર આવી જતાં હોય, વન વિભાગની ટીમને એલર્ટ રાખવામાં આવે છે. આ ટીમ રાત-દિવસ કામ કરે છે. જે વિસ્તાર કે ગામમાંથી મગર નિકળ્યા હોવાના કોલ આવે છે. ત્યારે ટીમ રવાના થઈ જાય છે. મગરોનુ રેસ્ક્યૂ કરી વન વિભાગમાં લાવવામાં આવે છે.