કચ્છ જિલ્લાના અંજાર નજીક સિનાઈ રોડ પર આવેલા સદગુરુ રાયમલ ધામ આશ્રમ અને ગૌરી ગૌશાળામાં ગૌ શક્તિ યોગ યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવ 16 જૂનથી શરૂ થયો છે અને ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ તેની પૂર્ણાહુતિ થશે.
આશ્રમના અધ્યક્ષ અને ભાગવત કથા વાચક શાસ્ત્રી ધનેશ્વર મહારાજ જોશી પંડિતના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આદિપુરની ગુરુનાનક પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ કે.કે. સાહુના સહયોગથી શાળાના 340 વિદ્યાર્થીઓએ ગૌ પૂજનમાં ભાગ લીધો.
વિદ્યાર્થીઓએ રામ નામના જયઘોષ સાથે ગૌમાતાની અને યજ્ઞની પરિક્રમા કરી. આશ્રમ દ્વારા શિક્ષિકાઓનું બિલીપત્ર આપીને સ્વાગત કરવામાં આવ્યું.
હની ભાટિયા, રિયા ભીંડે, અંજુ મેહરા, મિતલાબા ઝાલા સહિતની શિક્ષિકાઓ વિદ્યાર્થીઓ સાથે જોડાઈ હતી.
આશ્રમમાં શાસ્ત્રી નીલકંઠ જોશી, શાસ્ત્રી હરેશ જોશી અને શાસ્ત્રી નિલેશ રાજગોર સહિતની ટીમ દ્વારા દરરોજ ગૌ પૂજન અને યજ્ઞ કરવામાં આવે છે.
ઉદ્યોગપતિ અને ગૌ ભક્ત દીપકભાઈ પટેલે વિદ્યાર્થીઓને ગૌમાતાના દૂધ અને ઘીની ઉપયોગિતા તેમજ શુદ્ધ સાત્વિક ભોજન પ્રણાલી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
