જામજમતા વરસાદની પ્રાર્થના, સનાતન સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા અને ગિરનાર મહારાજની કૃપા માટે શ્રદ્ધાળુઓએ આજે ભવનાથથી ગિરનારની દુધધારા પરિક્રમાનો આરંભ કર્યો છે. આ પરંપરા 65 વર્ષથી નિરંતર ચાલી આવે છે. જેઠ વદ અગિયારસ એટલે કે યોગિની એકાદશીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ દુધધારા પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં 200થી વધુ ભાવિકો જોડાયા છે અને 36 કિલોમીટરના માર્ગે 150 લીટર દૂધનો અભિષેક કરાયો છે.
36 કિ.મી. માર્ગે સતત વહેતી રહે છે દૂધની ધારા આ પરિક્રમામાં ગિરનાર જંગલના અંદાજે 36 કિલોમીટર લાંબા પર્વતીય રૂટ પર ગિરનારની આસપાસ દૂધની અખંડ ધારા વહેતી રાખવામાં આવે છે.
પાત્રમાંથી સતત દૂધ વહેતું રહે એ રીતની અનોખી આધ્યાત્મિક વિધિ યોગિની એકાદશીને ઉજવણીરૂપે થાય છે. પરંપરા મુજબ, ભક્તો દૂધ પાત્ર સાથે પરિક્રમા કરતા જાય છે અને વિધિવત્ ગિરનારની પર્વતી રુટ પર દૂધ અર્પણ કરે છે.

ભક્તિ, એકતા અને પરંપરાનું સમરસન આ દીર્ઘકાળીન પરંપરા છેલ્લા 65 વર્ષથી નવિન ઉત્સાહ અને શ્રદ્ધાથી જીવી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢના મહામંત્રી જયેશ ખેસવાણીએ જણાવ્યું હતું કે, દૂધધારા પરિક્રમાનું મૂળ ઉદ્દેશ રાષ્ટ્રમાં સારો વરસાદ પડે, શાંતિ અને સમૃદ્ધિ રહે અને ગિરનારી મહારાજની અનુકંપા સમસ્ત નાગરિકો પર બનેલ રહે એ છે.
તેમણે ઉમેર્યું કે આશરે 150 લીટરથી વધુ દૂધ એકત્ર કરી સમગ્ર પરિક્રમા રૂટ પર અભિષેકરૂપે વહેડવામાં આવે છે. આ સાથે વિવિધ સમાજના લોકોને સાથે રાખી સંપ્રદાયોના મેલમિલાપથી આ પરિક્રમા સમ્પન્ન થાય છે.