જુનાગઢ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, દ્વારા રાષ્ટીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી કરાય
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ મંગળવારના રોજ ‘આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ* વિષય પર કરવાનું નક્કી કરેલ. જે અંતર્ગત નિયામક શ્રી. આયુષની કચેટી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી તા ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ જનરલ હોસ્પિટલ. જૂનાગઢ ખાતે કરવામાં આવી.
આજના આ કાર્યક્રમમાં દિવસની શરૂઆત આયુર્વેદ પ્રવર્તક ભગવાન ધન્વન્તરિના પૂજનથી કરવામાં આવી. ભગવાન ધન્વન્તરિ આયુર્વેદ અને ઔષધિના દેવતા અને ભગવાન વિષ્ણુ ના અવતાર મનાય છે. જેમને વિશ્વના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવેલ.
જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, જૂનાગઢ અને જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મંચ કાર્યક્રમનું આયોજન સેમીનાર હોલ ખાતે કરવામાં આવેલ જેમાં જૂનાગઢ શહેરના ધારાસભ્ય માનનીય શ્રી સંજયભાઈ કોરડીયા, મહાનગરપાલિકા જૂનાગઢના સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, અધિક નિવાસી કલેક્ટર સુશ્રી ભાવનાબેન બારડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. પાનેરા, જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ જૂનાગઢના સુપ્રીટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ કોલેજ ના એડીશનલ ડીન ડૉ. દિનેશ પરમાર, સિવિલ સર્જન ડૉ. પાલા લાખનોત્રા જિલ્લા ક્ષય અધિકારી ડૉ ચંદ્રેશ વ્યાસ તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, જૂનાગઢ ડૉ. છાયાબેન ડેર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ના પ્રાધ્યાપકો, તબીબો, આયુર્વેદ શાખાના આયુર્વેદ અને હોમીયોપથી મેડિકલ ઓફિસરશ્રીઓ, નર્સીગ સ્ટાફ, વિદ્યાર્થીઓ વગેરે હાજર રહ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત મહેમાનો ના સ્વાગત અને સન્માન માટે “આયુષ કીટ” આપવામાં આવેલ જેમાં સરળ અને અસરકારક આયુર્વેદિય પદ્ધતિઓને અપનાવવા અને પ્રોત્સાહિત કરવા દિનચર્યામાં ઉપયોગી એવી આયુષ વસ્તુઓનો સમાવેશ કરેલ. સર્વે ઉપસ્થિત મહેમાનો દ્વારા આયુર્વેદ શાખાના આ પ્રયાસને બિરદાવવામાં આવેલ.
હાલમા ચાલતા પોષણ માહ અભિયાન આયુષના યોગદાન માટે આયુર્વેદ શાખા, જૂનાગઢ દ્વારા બાળકોને શિક્ષણ સાથે આરોગ્ય અને આયુર્વેદની સમજ મળે તે હેતુસર ‘આયુર્વેદ ની એબીસીડી” “આયુર્વેદ નો કક્કો” અને “૩૦ સુટેવો” વિષયક બેનર પોસ્ટરનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવેલ.
મહિલાઓના આરોગ્ય વિષયક જાગૃતિ બાબતે સરકારશ્રી દ્વારા ‘સ્વસ્થ નારી, સશકત પરિવાર” અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન માં આયુર્વેદના યોગદાન સ્વરૂપે ‘સખી- સ્ત્રી આરોગ્ય અંગે આયુર્વેદીય માર્ગદર્શિકા’ નામની ઇ પુસ્તિકા નું વિમોચન કરવામાં આવેલ મહિલાઓના જીવનના વિવિધ તબક્કાઓમાં થતા ફેરફારો અને આરોગ્યને લગતી તકલીફોમાં પૂરતી સમજ મળી રહે, મહિલાઓનું આરોગ્ય વધુ તંદુરસ્ત બને તે હેતુસર માસિક ધર્મની શરૂઆત થી લઇને મેનોપોઝ સુધી તથા ગર્ભીણીની પરિચર્ચા જેવા
વિવિધ વિષયો ને લોકભોગ્ય ભાષામાં આ પુસ્તિકામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. સર્વે ઉપસ્થિત આદરણીય મહાનુભાવોએ આ પુસ્તિકા વધુમાં વધુ લોકો સુધી પ્રસારિત કરવા માટે સૂચન કરેલ છે.
હાલમા જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે રૂમ નં. ૧૦૬ ખાતે આયુષ ઓપીડી કાર્યરત છે, જેનો ખૂબ મોટા પ્રમાણમાં લોકો લાભ લઇ રહ્યા છે. આયુર્વેદ-હોમીયોપથી-યોગ ની સાથે સાથે આયુર્વેદ ની પચકર્મની સેવાઓ હાલમાં પણ લોકોને મળી રહી છે. આ સગવડ સુવિધાઓ વધારવા માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢ અને જનરલ હોસ્પિટલ જૂનાગઢ ના સહિયારા પ્રયાસોના પરિણામે સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ વાર જનરલ હોસ્પિટલ ખાતે “આયુષ વીગ” બનાવવા માટેની મંજૂરી જૂનાગઢ શહેરની જનરલ હોસ્પિટલ ને મળેલ છે. આ “આયુષ વીંગ” માટે જરૂરી આર્થિક સહાય ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નેશનલ આયુષ મીશન મારફતે આપવામાં આવશે. આ ‘આયુષ વીંગ” નો લોકાર્પણનો કાર્યક્રમ પણ આજના કાર્યક્રમની સાથે રાખવામાં આવેલ આયુષ વીંગ બનવાથી જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતેની આયુષ સેવાઓ હજુ વધુ ગુણવત્તાસભર અને સુદૃઢ બનશે.
આજના આ કાર્યક્રમની સાથોસાથ આયુર્વેદ ના વિવિધ વિષયો પરની પ્રદર્શની અને ‘મહિલા પ્રકૃત્તિ પરિક્ષણ કેમ્પ’નું આયોજન કરવામાં આવેલ. અંદાજે ૬૦૦ થી વધુ લોકોએ પ્રદર્શનીનો લાભ લીધેલ તથા ૭૨ બહેનોના પ્રકૃત્તિ પરિક્ષણ કરીને તેમના સ્વાસ્થ્ય અંગે સમજ આપવામાં આવેલ આયુર્વેદ શાખા દ્વારા કાર્યક્રમમાં હાજર લોકોને શરદ ઋતુને અનુરૂપ પિત્તશામક ધાન્યક-મિશ્રેયા પાનકનું પાન કરાવવામાં આવેલ, જેનો પણ ૩૦૦ કરતા વધુ લોકોએ લાભ લીધેલ.
આજના કાર્યક્રમના મુખ્ય અતિથી માનનીય શ્રી સંજયભાઇ કોરડીયાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે આયુર્વેદ એ પ્રાચીન વારસો છે. “સ્વદેશી” વસ્તુઓની સાથે આપણું “સ્વદેશી શાસ્ત્ર આયુર્વેદ ને પણ વધુમાં વધુ પ્રયોગમાં લાવીએ. હવે યુગને અનુરૂપ વિશ્વફલક પર આયુર્વેદ ને લઇ જવા માટેના પ્રયત્નો સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ છે. તેમણે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢ અને જનરલ હોસ્પિટલ, જૂનાગઢની સમગ્ર ટીમને સુંદર કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવી બિરદાવેલ, તથા વોકોના સુસ્વાસ્થ્ય માટે સતત કામ કરતા રહેવા અપીલ પણ કરેલ હતી.
રિપોર્ટર મહેશ કથીરિયા