રાપર પોલીસે અંદાજીત એક મહિના પહેલા રૂ. 8.29 લાખનો વિદેશી દારૂ પકડ્યો હતો, પરંતુ કાર્યવાહી દરમિયાન વિડીયોગ્રાફી ન કરવાની ભૂલને કારણે આરોપીને કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
આ કેસમાં યશપાલસિંહ બળુભા ઉર્ફે બળવંતસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે લાકડિયાના આનંદ બાવાજી અને વનરાજસિંહ દીલુભા જાડેજાને માલ મોકલનાર અને મંગાવનાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
આરોપીના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે નવા કાયદા BNSS ની કલમ 105 મુજબ દરોડા દરમિયાન મુદ્દામાલ જપ્ત કરતી વખતે ઓડિયો-વિડીયોગ્રાફી કરવી ફરજિયાત છે. આ નિયમનું પાલન ન થવાથી દરોડાની કાર્યવાહી પર શંકા ઉભી થાય છે. વકીલોએ એ પણ રજૂઆત કરી કે પ્રોહિબિશનના ગુનાની પ્રેસનોટમાં પોલીસે માત્ર મુદ્દામાલનો ઉલ્લેખ કર્યો હતો અને પાછળથી તેમના અસીલને કેસમાં સંડોવવામાં આવ્યો હતો.
ભચાઉ સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને નિયમિત જામીન પર મુક્ત કર્યો હતો. આ કેસમાં હિતેન્દ્રસિંહ બી. વાઘેલા મુખ્ય ધારાશાસ્ત્રી હતા, જ્યારે નરેન્દ્રસિંહ બી. જાડેજા, અશ્વિન આર. ઢીલા, વિજયભા પી. ગઢવી, કલ્પેશ એન. વાવિયા અને હરપાલસિંહ કે. જાડેજા સહ વકીલ તરીકે હાજર રહ્યા હતા.

