સોના વાટકડી રે, છાશ્યું ઘોળી કનૈયા. એ તો તારા મનમાં છે અલગ અલગ નામ
બાકી રામ એ જ શ્યામ અને શ્યામ એ જ રામ
સાવરકુંડલાના તમામ ધર્મના લોકો તથા જ્ઞાતિના લોકો આ રાષ્ટ્રીયપર્વ જેવા બની ગયેલા રામનવમીના તહેવારમાં જોડાયા. સમગ્ર સાવરકુંડલા શહેરને રામનવમીને અનુરૂપ કેસરી રંગે સજાવવામાં આવ્યું હતું. અવનવા પતાકડાં , ફ્લોટ્સ, રામાયણના દ્રશ્યો ,રાત્રિનો સાંસ્કૃતિક કાર્યક્રમ, રામનવમીની આરતી , વિવિધ જ્ઞાતિઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સેવા સ્ટોલ અને શોભાયાત્રા આ તહેવારનું અનેરુ આકર્ષણ બની રહ્યા. આ પ્રસંગે સાવરકુંડલા આહિર સમાજ દ્વારા રામનવમીને આપણી ભાતીગળ સંસ્કૃતિથી ઉજવવા માટે બે અનોખા આયોજન હાથ ધરાયા હતા.

જે પૈકી શોભાયાત્રામાં આહિર સમાજની સંસ્કૃતિને દર્શાવતું એક ટ્રેક્ટર જોડવામાં આવ્યું હતું. જેમાં આહિર સમાજના યુવાનો પરંપરાગત પોશાક, પરંપરાગત ભાષા, આહિરોની સંસ્કૃતિ ઉજાગર થાય તેવી છબીઓ, તેવો શણગાર, તેને અનુરૂપ ગીત – સંગીત અને નૃત્ય સાથે જોડાયા હતા. આ નવતર પ્રયોગની સમગ્ર સાવરકુંડલા શહેર ભારે સરાહના કરેલી. તદુપરાંત સાવરકુંડલા આહિર સમાજ દ્વારા આ પર્વ નિમિત્તે ગોરસ પરબનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો. આહિર સમાજ વર્ષોથી દૂધ, ઘી ,છાશ, માખણ અને દહીં સાથે જોડાયેલો સમાજ છે.
જેના અંતર્ગત સાવરકુંડલા આહિર સમાજના પુરુષો દ્વારા પરંપરાગત પોશાકમાં હાથસણી રોડેથી પસાર થતાં દરેક વ્યક્તિ અને સરઘસના તમામ સભ્યોને સૌરાષ્ટ્રનું અમૃત એવી ૧૦૦૦ લીટર છાશ તાણ્ય કરી કરીને ૫૦૦૦થી વધુ માણસોને પીવડાવી હતી. આહિર સમાજના પુરુષો ધોમધખતા તાપમાં રોડ પર જઈને સામેથી દરેક વ્યક્તિને અનેરા ભાવથી છાશ પીવડાવી રહ્યા હતા. આ દ્રશ્ય અને છાશની ગુણવત્તા તથા આહિર સમાજનો ભાવ જોઈ દરેક સમાજ ખુશખુશાલ થઈ ગયો હતો. સાવ ઓછી વસ્તી હોવા છતાં આહિર સમાજ એ કરેલી આ બંને કામગીરીની પ્રશંસા સમગ્ર સાવરકુંડલા શહેરમાં થઈ રહી છે. આ તકે પરમ પૂજ્ય ઉષામૈયા, શિવ દરબાર આશ્રમ , કાના તળાવ તરફથી છાશની પ્રસાદી આહિર સમાજને પ્રાપ્ત થયેલ. જે બદલ સમગ્ર આહિર સમાજ તેમનો ઋણ સ્વીકાર અને મૈયાના ચરણોમાં વંદન કરે છે.
બિપીન પાંધી સાવરકુંડલા