Gujarat

રાજકોટ જાહેર માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને મળશે રૂ.૧.૫૦ લાખ સુધી કેશલેસ સારવાર.

રાજકોટ જાહેર માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને મળશે રૂ.૧.૫૦ લાખ સુધી કેશલેસ સારવાર.

રાજકોટ શહેર તા.૨૭/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર હાઇ-વે પર થતા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળે તો ઘાયલનો જીવ બચી શકે છે. પૈસાના વાંકે દર્દીને સારવાર મળવાનો વિલંબ ન થાય તે માટે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ઘાયલ દર્દીઓને કેશલેસ સારવાર મળી રહે તે માટે આયોજન હાથ ધરાયું છે. મોટા ભાગે હાઇ-વે પર જયારે અકસ્માત થતો હોય છે, ત્યારે ઘાયલ વ્યક્તિ સભાન અવસ્થામાં ન હોવાથી તે સારવારના ખર્ચ માટે સમર્થ છે કે નહીં તે જાણી શકાતું નથી. આવા ઘાયલને જયારે હોસ્પિટલમાં લઈ જવામાં આવે ત્યારે તેને જરૂરી ઇમર્જન્સી સારવાર માટે કોઈ અંગત વ્યક્તિ ખર્ચ દેવા હાજર ન પણ હોઈ શકે. આ સ્થિતિમાં હોસ્પિટલમાં તેઓને કેશલેસ સારવાર મળી રહે તે જરૂરી છે. ત્યારે તેઓને દિવસ ૭ સુધી અધિકૃત હોસ્પીટલ તેમજ ⁠PMJAY યોજનાની બધી હોસ્પિટલમાં સારવાર મળવા પાત્ર છે. ખાસ કરીને વાહન અકસ્માતમાં જે વાહન પાસે થર્ડ પાર્ટી વીમો નથી હોતો, અથવા હિટ એન્ડ રન કેસમાં વાહન ચાલક ફરાર થઈ જતા ઘાયલને સારવારનો ખર્ચ મળી રહે તે જરૂરી છે. આવા કિસ્સામાં દર્દીનો સારવાર ખર્ચના ક્લેઇમની ચુકવણી માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના એકાઉન્ટમાંથી કરવામાં આવશે. આ અંગે પૂર્તતા કરવા માટે માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા રોડ સેફટી કમિટીના અધ્યક્ષને આ અંગેની સત્તા આપવામાં આવી છે. માર્ગ સલામતી સમિતિ ખાસ આ બાબતે અનુકૂળતા સાધે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજનાની અમલવારીમાં ફરિયાદના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ ઓફિસર નીમવામાં આવશે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટે ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તેમજ નોન ડેઝીગ્નેટેડ હોસ્પિટલ પણ સહકાર આપે તે જરૂરી છે. જનજાગૃતિ માટે મેડિકલ એસોસિએશન, રેડક્રોસ સહિતની સંસ્થાઓ વધુને વધુ જાગૃતિ ફેલાવે તે પ્રકારે રોડ સેફટી કમિટી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. વધુમાં પીડિતને હોસ્પિટલમાં દાખલ થવાની કે ટ્રીટમેન્ટને લગતી ફરિયાદ માટે નેશનલ હાઇવે ઓથોરિટીના ટોલ ફ્રી હેલ્પલાઇન નં-૧૪૫૫૫ પર સંપર્ક કરી શકાય છે. ગુજરાત રાજ્યમાં હાઇ-વે પર અકસ્માતમાં ઘાયલને રૂ.૧.૫૦ લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળી રહે તે માટે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી તેમજ જિલ્લા રોડ સેફટી ઓથોરિટી દ્વારા લોકોમાં તેમજ હોસ્પિટલ ધારકોમાં જનજાગૃતિ વધે તે માટે સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત રોડ સેફટી કમિટીના નિવૃત્ત CEO અને એક્સપર્ટ મેમ્બર જે.વી.શાહે સારવાર પ્રક્રિયા અંગે વધુ વિગત આપતા જણાવ્યું છે કે, ભારત સરકારની યોજનાના સફળ અમલીકરણ માટે પોલીસ અને આરોગ્ય વિભાગનો મુખ્ય રોલ રહેશે. રોડ સેફ્ટી ઓથોરિટી રાજ્ય સ્તરે મોનિટરિંગ કરવા નોડલ એજન્સી છે. જિલ્લા સ્તરે પ્રશ્નોના નિવારણ માટે નિવાસી અધિક કલેકટરને ગ્રિવન્સ રિડ્રેસલ ઓફિસર અને નોડલ અધિકારી બનાવેલ છે. પોલીસે eDAR પર વિક્ટિમનું ID જનરેટ કરવાનું રહેશે. જો વિક્ટિમ જાતે હોસ્પિટલ પહોંચે તો હોસ્પિટલ ID જનરેટ કરશે, જેને પોલીસે ૨૪ કલાકમાં કન્ફર્મેશન આપવાનું રહેશે કે આ માર્ગ અકસ્માતનો જ કેસ છે. એમ્પેનલ ના હોય તેવી હોસ્પિટલ ૨૪ કલાક સુધી ૧૦ હજાર સુધીની સ્ટેબિલાઇઝેશન સારવાર આપી શકશે. ⁠PMJAY યોજનાની બધી હોસ્પિટલમાં આ યોજનામાં પણ એમ્પેનલ હોસ્પિટલ છે. ગુજરાત સરકાર વાહન અકસ્માત સારવાર સહાય યોજના-૨૦૧૮’ વાહન અકસ્માતમાં ઘાયલને સારવાર માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલી ‘વાહન અકસ્માત સારવાર સહાય યોજના-૨૦૧૮’ અંગે રોડ સેફટી કમિટી એક્સપર્ટ મેમ્બર જે.વી.શાહે માહિતી આપતા જણાવ્યું છે કે, આ યોજનામાં દર્દીને રૂ.૫૦ હજાર સુધીની કેશલેસ સારવાર મળવા પાત્ર હોઈ છે. આ માર્ગ અકસ્માત જાહેર માર્ગ પર થયેલો હોવો જોઈએ. વધુમાં હિટ એન્ડ રનના કિસ્સામાં મૃતકને વળતર મળવા પાત્ર હોઈ છે. જેમાં પોલીસ તેમજ હોસ્પિટલની સકારાત્મક ભૂમિકા રહેલી છે. રાજકોટ જિલ્લામાં ‘વાહન અકસ્માત સારવાર સહાય યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી હાલ સુધીમાં ૨,૨૨૬ જેટલા દાવાઓમાં લગભગ રૂ.૬.૯૩ કરોડ જેટલી માતબર રકમ ચુકવવામાં આવી હોવાનું પદ્મકુંવરબા હોસ્પિટલના RMO નૂતનબેને જણાવાયું છે. આવનારા સમયમાં ઘાયલને ગોલ્ડન અવરમાં ઉત્કૃષ્ટ સારવાર મળી રહે અને પૈસાના અભાવની સ્થિતિમાં દર્દીને સારવારનું કવચ પૂરું પાડવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની ભૂમિકા સંજીવની સાબિત થશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250827-WA0059.jpg