Gujarat

સાત લાખ લઈ ટ્રાવેલ્સ એજન્ટ ફરાર, હરિદ્વાર પહોંચેલા યાત્રાળુઓને પરત ફરવું પડ્યું

ચારધામની યાત્રાએ જવા માટે નીકળેલા ગાંધીનગરના રાંદેસણના યાત્રાળુઓ સાથે એક ટ્રાવેલ્સના એજન્ટે સાત લાખની છેતરપિંડી આચરી છે. ચારધામની સારી યાત્રા કરાવવાની લાલચ આપી આ એજન્ટે 28 યાત્રાળુ પાસેથી સાત લાખ જેટલી માતબર રકમ એડવાન્સ લઇ લીધી હતી.

ત્યાર બાદ યાત્રાળુઓને હરિદ્વાર મળવાનું કહેતાં તેઓ હરિદ્વાર પહોંચ્યા હતા. જ્યાં એજન્ટને ફોન કરતાં તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો, જેથી યાત્રાળુઓને હરિદ્વારથી પરત ફરવું પડ્યું હતું. આખરે આ મામલે એજન્ટ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ મામલે રાંદેસણ ગામે રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ભૂપતસિંહ હેમતુજી ગોહિલે મૂળ દેહરાદૂન રેઈનવાલા સાઈ ગાર્ડન પાસે રહેતા પરીક્ષિત જયકાંત જોષી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ભૂપતસિંહને પરીક્ષિતનો સંપર્ક ધોળેશ્વર મંદિરે થયો હતો. બંને નિયમિત દર્શન કરવા આવતા હતા.

આ દરમિયાન બે વર્ષ પહેલાં ભૂપતસિંહે ચારધામ યાત્રા જવાની ઇચ્છા દર્શાવતાં પરીક્ષિતે પોતે જોષી ટૂર્સ એન્ડ ટ્રાવેલન્સમાં કામ કરતો હોવાનું જણાવી સારી યાત્રા કરાવવાની ખાતરી આપી હતી. જે-તે સમયે યાત્રા માટે ભૂપતસિંહ તથા તેમના ગામની 16 વ્યક્તિ નક્કી થઈ હતી.

એ પેટે તેમણે પરીક્ષિત જોષીને 3.20 લાખ ચૂકવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન ભૂપતસિંહના કુટુંબમાં મરણ થતાં તેમણેટૂર અટકાવી હતી. આ મામલે પરીક્ષિતને જણાવતાં તેણે પછી નક્કી કરો ત્યારે યાત્રા ગોઠવવાનું કહ્યું હતું, આથી ભૂપત સિંહે એડવાન્સ આપેલા 3.20 લાખ પરીક્ષિત પાસે જમા રાખ્યા હતા.

ત્યાર બાદ વધુ 12 મુસાફર નક્કી થયા તાજેતરમાં ભૂપતસિંહે પરીક્ષિતને પુનઃ યાત્રા મામલે વાત કરી હતી. આ સમયે તેણે હેલિકોપ્ટર, કાર ભાડું અને હોટલ બુકિંગ માટે વધારે 80 હજાર થશે એવી વાત કરતાં આ પૈસા તેમણે ઓનલાઈન ચૂકવ્યા હતા.

ત્યાર બાદ વધુ 12 મુસાફર નક્કી થતાં એક મુસાફરના 25 હજાર લેખે 3 લાખ વધુ પરીક્ષિતને ચૂકવવામાં આવ્યા હતા. પરીક્ષિતે આમ ભૂપતસિંહ અને અન્ય 27 યાત્રાળુ પાસેથી કુલ સાત લાખ જેટલી રકમ ચારધામની યાત્રા માટે એડવાન્સ લીધી હતી.