ભારતીય જૈન સંગઠન (BJS)ના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નંદકિશોર સાંખાલાજી દ્વારા આજે સુરેન્દ્રનગરના પાવન વાસુપૂજ્ય દેરાસર ખાતે સૌજન્ય મુલાકાત લેવામાં આવી. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ તથા જૈન સમાજના સજ્જનો સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠકમાં તેઓએ BJS ની દેશવ્યાપી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી તથા સ્થાનિક આગેવાનો સાથે તેમના અમૂલ્ય સૂચનો શેર કર્યા હતા.
આ મહત્વની બેઠકમાં BJSના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી પંકજભાઈ ચોપડા, રાષ્ટ્રીય મંત્રીશ્રી દીપકભાઈ ચોપડા , ગુજરાત રાજ્ય અધ્યક્ષશ્રી દીપકભાઈ નહાર , રાજ્ય મહામંત્રીશ્રી શરદભાઈ શેઠ , તેમજ સુરેન્દ્રનગર BJS પ્રમુખશ્રી અલ્પેશભાઈ દેસાઈ , સેક્રેટરી ગુંજન સંઘવી , સલાહકાર સમિતિના શ્રેણિકભાઈ શાહ સહિત BJS સુરેન્દ્રનગરની સંપૂર્ણ ટીમ ઉપસ્થિત રહી હતી.

BJS એ દીર્ઘદ્રષ્ટા અને જૈન સમાજના શ્રેષ્ઠી શાંતિલાલ મુત્થાજી દ્વારા સ્થાપિત સંગઠન છે, જે છેલ્લા ૪૦ વર્ષથી જૈન સમાજના વિકાસ અને સશક્તિકરણ માટે કાર્યરત છે. સંગઠન શિક્ષણ, વ્યવસાય વિકાસ, સંસ્કાર નિર્માણ, યુવા સશક્તિકરણ અને કુશળતા વિકાસ જેવા અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કામગીરી કરે છે.
આ મુલાકાત દરમિયાન સંગઠનની આગામી યોજનાઓ અંગે ચર્ચા થઈ તેમજ સ્થાનિક સ્તરે વધુ સક્રિય બની સેવા કાર્ય માટે ભાવિ માર્ગદર્શન મળ્યું.
સંગઠનના સશક્ત ભવિષ્ય માટે આ મુલાકાત મૈલનો પથ્થર સાબિત થશે એવી આશા અને શ્રદ્ધા સાથે, BJS સુરેન્દ્રનગર ટીમ આ સફળ મુલાકાત માટે શુભેચ્છા વ્યક્ત કરે છે.

