National

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં આઉટસોર્સિંગ દ્વારા શ્રમયોગીઓ પુરા પાડતી ૩૦૦ એજન્સીના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વર્કશોપ યોજાયો

આ વર્કશોપમાં આઉટસોર્સિંગ એજન્સીઓને શ્રમ કાયદાઓનું વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન અપાયું

ડૉ..બાબાસાહેબ આંબેડકર ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના શ્રમ નિયામક શ્રી કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સમગ્ર રાજયની આઉટસોર્સિંગ એજન્સીઓના પ્રતિનિધિશ્રીઓને શ્રમ કાયદાઓનું વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજ્યભરની લગભગ ૩૦૦ જેટલી એજન્સીઓની હાજરીમાં આયોજિત આ વોર્કશોપમાં શ્રમયોગીઓના હિતોના રક્ષણ અર્થે વિવિધ શ્રમકાયદાઓ જેવા કે લઘુત્તમ વેતન અધિનિયમ-૧૯૪૮, કોન્ટ્રાક્ટ મજૂર અધિનિયમ-૧૯૭૦, સમાન વેતન અધિનિયમ-૧૯૭૬, બોનસ ચૂકવણી અધિનિયમ-૧૯૬૫ તથા ગ્રેજ્યુઇટી ચૂકવણી અધિનિયમ-૧૯૭૨ અંગેની સમજૂતી આપવામાં આવી હતી. હાલના સમયમાં સરકારી કચેરીઓમાં ય્ીસ્ પોર્ટલ મારફત વિવિધ ટેન્ડર પ્રક્રિયાઓ કરવામાં આવે છે, જે બાબતે જાણકારી તથા સેવા આપતી એજન્સીઓની જવાબદારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રમ નિયામક શ્રી કે.ડી.લાખાણીએ વર્કશોપમાં હાજર એજન્સીઓના હોદ્દેદારોને સંબોધિત કરી માર્ગદર્શન પૂરું પાડયુ હતું. તેમણે એજન્સીઓને શ્રમ કાયદાઓ વિષયક મૂંઝવણો તથા વિવિધ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી તેનું સમાધાન સૂચવ્યું હતું. વધુમાં શ્રમ નિયામકશ્રીએ કાયદા તેમજ સરકારશ્રીની આ અંગેની સૂચનાઓના અર્થઘટનના લીધે શ્રમયોગીઓને કોઇપણ પ્રકારનો અન્યાય ન થાય તેમજ તેમને મળવાપાત્ર લાભો સમયસર મળી રહે અને કોઇપણ પ્રકારની ફરિયાદોને અવકાશ ન રહે તે માટે તમામ સંબંધિતોએ કાળજી લેવા સૂચના આપી હતી.

આ પ્રસંગે અધિક શ્રમ આયુક્ત ડો.વાય.એમ.શેખ, વિભાગીય નાયબ શ્રમ આયુક્તશ્રીઓ, મદદનીશ શ્રમ આયુક્તશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા આઉટસોર્સિંગ એજન્સીઓના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.