શક્તિશાળી રાફેલ વિમાનની પહેલી ઉડાનથી મારા મનમાં રાષ્ટ્રની સંરક્ષણ ક્ષમતાઓમાં ગર્વની નવી ભાવના જાગી છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અંબાલા (હરિયાણા) ના એરફોર્સ સ્ટેશન પર રાફેલ વિમાન ઉડાડ્યું હતું. તે ભારતીય વાયુસેનાના બે ફાઇટર વિમાન ઉડાડનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે. અગાઉ, તેમણે ૨૦૨૩માં સુખોઈ ૩૦ સ્દ્ભૈં ઉડાડ્યું હતું.
અંબાલા એરફોર્સ સ્ટેશન એ પહેલું એરફોર્સ સ્ટેશન છે જ્યાં ફ્રાન્સમાં દસોલ્ટ એવિએશન સુવિધાથી રાફેલ વિમાન આવ્યું હતું.
રાષ્ટ્રપતિ, જે ભારતીય સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર છે, તેમણે લગભગ ૩૦ મિનિટ સુધી ઉડાન ભરી અને એરફોર્સ સ્ટેશન પર પાછા ફરતા પહેલા લગભગ ૨૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ વિમાનને ૧૭ સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર ગ્રુપ કેપ્ટન અમિત ગેહાનીએ ઉડાડ્યું હતું. આ વિમાન સમુદ્ર સપાટીથી આશરે ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ અને આશરે ૭૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી હતી.
બાદમાં, રાષ્ટ્રપતિએ વિઝિટર બુકમાં એક ટૂંકી નોંધ લખીને પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું, “ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનમાં મારી પહેલી ઉડાન માટે અંબાલા વાયુસેના સ્ટેશન પર આવીને મને ખૂબ આનંદ થયો છે. રાફેલ પર ઉડાન મારા માટે એક અવિસ્મરણીય અનુભવ છે. શક્તિશાળી રાફેલ વિમાન પરની આ પહેલી ઉડાનથી મારામાં રાષ્ટ્રની સંરક્ષણ ક્ષમતાઓમાં ગર્વની ભાવના જાગી છે. હું ભારતીય વાયુસેના અને અંબાલા વાયુસેના સ્ટેશન પરની સમગ્ર ટીમને આ ઉડાનના સફળ સંચાલન માટે અભિનંદન આપું છું.”
રાષ્ટ્રપતિને રાફેલ અને ભારતીય વાયુસેનાની કાર્યકારી ક્ષમતાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

