National

તમિલનાડુમાં બે ભયાનક અકસ્માતની ઘટના; કુલ ૭ મોત, ૫ ઈજાગ્રસ્ત

રાજ્ય માટે ‘મંગળવાર બન્યો અમંગળવાર’

મંગળવારે તમિલનાડુમાં બે ભયાનક અકસ્માતની ઘટનાઓ બની હતી જેમાં, રાજ્યના કુડ્ડાલોર જિલ્લામાં ટ્રેને સ્કૂલ વાનને ફંગોળી દીધી છે, જ્યારે તંજાવુરમાં મિની ટ્રકે કારને ભયાનક ટક્કર મારી છે. આ બંને ઘટામાં કુલ સાત લોકોના મોત અને પાંચ લોકોને ઈજા થઈ છે.

રાજ્યના કુડ્ડાજાેલ જિલ્લાના સેમ્મનકુપ્પમ ગામમાં ટ્રેને સ્કૂલ વાનને ટક્કર મારી છે. અહીં એક માનવયુક્ત ફાટક પાસે ચાર વિદ્યાર્થીઓની લઈ જઈ રહેલી સ્કૂલ વાનને પ્રવાસી ટ્રેને ભયાનક ટક્કર મારી છે, જેમાં ઓછામાં ઓછા ત્રણ વિદ્યાર્થીના મોત અનને ડ્રાઈવર સહિત બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ખાનગી સીબીએસઈ શાળા કૃષ્ણાસ્વામી વિદ્યાનિકેતની બસે કુડ્ડાલોર અને અલપ્પક્કમ વચ્ચે રેલવે ક્રોસિંગ (નોન-ઇન્ટરલોક્ડ મેન્ડ ગેટ) પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન વિલ્લુપુરમ-મઈલાદુથુરાઈ પેસેન્જર ટ્રેને બસને ભયાનક ટક્કર મારી હતી.

બીજી ઘટનામાં રાજ્યના તંજાવુર-કુંભકોણમ હાઈવે પર આજે સવારે બીજાે અકસ્માત થયો છે. અહીં મિની ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાયા છે, જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત અને ત્રણ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે કહ્યું કે, ચેન્નાઈના પેરુંગલથુરના રહેવાસી એસ.કુમાર કારમાં પરિવાર સાથે બૃહદેશ્વર મંદિર જઈ રહ્યા હતા. આ દરમિયાન વિક્રવંડી-તંજાવુર હાઈવે પર કુરુંગલૂર પાસે કાર રોંગ સાઈડ પર આવી રહેલા મિની ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત અંગે પોલીસે કહ્યું કે, ‘કાર પૂરઝડપે આવી રહી હતી, જેના કારણે કાર ચાલકને સ્ટિયરિંગ પર કાબુ મેળવવાનો સમય ન મળ્યો અને રોંગ સાઈડ પરથી આવી રહેલા મિની ટ્રક સાથે અથડાઈ હતી. ૫૮ વર્ષિય એસ.કુમારનું ઘટનાસ્થળે જ્યારે ૫૫ વર્ષિય પત્ની જયા, ૩૨ વર્ષિય દિકરી દુર્ગા અને ત્રણ વર્ષિય પૌત્ર નીલાવેણી સૂર્યાનું પછી મોત થયું છે. પોલીસે કહ્યું કે, મિની ટ્રકના ચાલક સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તંજાવુર તાલુકા પોલીસે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે.