Gujarat

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં વૃદ્ધની હત્યા

જામનગર શહેરના શંકર ટેકરી નજીક આવેલા માલુભાના ચોક વિસ્તારમાં આજે 23 ઓગસ્ટની સાંજે એક યુવાનની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચંદ્રસિંહ ઉર્ફે ચંદો મુળુજી રાઠોડ નામના વૃદ્ધ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, માલુભાના ચોક વિસ્તારમાં રહેતા ચંદ્રસિંહ રાઠોડ પર કોઈ અજાણ્યા શખ્સે છાતીના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે ચંદ્રસિંહનું પોતાના ઘરમાં જ ઘટનાસ્થળે અવસાન થયું હતું. આ બનાવ અંદાજે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે બન્યો હોવાનું સામે આવ્યું છે.

હત્યાની જાણ થતાં જ જામનગર સિટી ‘સી’ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.

પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને હુસેન નામના એક શંકાસ્પદ શખ્સ દ્વારા આ હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને આરોપી પકડાયા બાદ જ તે જાણી શકાશે. હાલ સિટી ‘સી’ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર શંકાસ્પદ આરોપીની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે