અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા અને રતનપોળમાં સોનાના દાગીનાનો વેપાર કરતા વેપારી સાથે આસામના ચાર ગઠિયાઓએ રૂ. 2.19 કરોડની છેતરપિંડી આચરી છે. આરોપીઓએ શરૂઆતમાં નાનો વેપાર કરી વિશ્વાસ જીત્યા બાદ રૂ. 2,19,62,500ની કિંમતના 1624 ગ્રામ સોનાના દાગીનાનો મોટો ઓર્ડર આપ્યો હતો.
ગુવાહાટી ખાતે દાગીના મેળવી લીધા બાદ અસલી પેમેન્ટના બદલે માત્ર સોનાનો વરખ ચડાવેલી અન્ય ધાતુની નકલી 9 લગડી પધરાવીને ઠગો ફરાર થઈ ગયા હતા, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
નાનો વેપાર કરી વિશ્વાસ જીત્યા બાદ આપ્યો મોટો ઓર્ડર ઈસનપુરમાં રહેતા અને રતનપોળના સહજાનંદ માર્કેટમાં ‘જૈનમ જ્વેલર્સ’ નામે દુકાન ધરાવતા રાકેશભાઈ સોનીનો સંપર્ક આસામના મુનીર, જેબુદ્દીન અને તાલૂ સહિત ચાર વ્યક્તિઓ સાથે થયો હતો. ફેબ્રુઆરી 2026માં આ ગઠિયાઓએ નાનું કામ આપી સમયસર રોકડા ચૂકવી રાકેશભાઈનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ એપ્રિલ, 2026માં વોટ્સએપ મારફતે 22 કેરેટના 1624 ગ્રામ સોનાના દાગીનાનો મોટો ઓર્ડર આપ્યો હતો.
ગુવાહાટીમાં અસલી દાગીના લઈ સોનાનો વરખ ચડાવેલી નકલી લગડી આપી રાકેશભાઈ તેમના મિત્ર સાથે મળીને રૂ. 2.19 કરોડના દાગીના તૈયાર કરી ડિલિવરી આપવા ગુવાહાટી ગયા હતા. ત્યાં ચારેય આરોપીઓએ દાગીના લઈ લીધા હતા અને રોકડ નાણાં ન હોવાનું કહી બદલામાં 24 કેરેટ સોનાની 166 ગ્રામની 9 લગડીઓ આપી હતી. રાકેશભાઈએ હોટલ પર જઈને તપાસ કરતા આ લગડીઓ અંદરથી અન્ય ધાતુની અને માત્ર ઉપર સોનાનો વરખ ચડાવેલી નકલી માલૂમ પડી હતી.

