જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી 14 વર્ષીય તરુણી આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ ઘટના રાજકોટમાં બની હતી, જ્યાં આનંદી પોતાના મામાના ઘરે ગઈ હતી. મળતી માહિતી મુજબ, આનંદી પુરુષોત્તમ માસના પ્રસંગે રાજકોટમાં તેના મામાના ઘરે ગઈ હતી. ગઈકાલે સાંજે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ તે અન્ય બાળકો સાથે રમી રહી હતી. રમતા રમતા અચાનક તે જમીન પર ઢળી પડી હતી.
આનંદીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાઈ નહોતી અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. માત્ર 14 વર્ષની નાની ઉંમરે હાર્ટ એટેકથી થયેલા આ અવસાનથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં હૃદય સંબંધિત સમસ્યાઓના વધતા બનાવો ચિંતાનો વિષય બન્યા છે. આનંદીના અકાળ અવસાનના સમાચાર મળતા સગા-સંબંધીઓ અને પરિચિતોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.

