Gujarat

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ‘વિકાસદીપ‘ યોજના અંતર્ગત બંદીવાનોના તેજસ્વી સંતાનોનું બહુમાન

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના હસ્તે અપાયા રોકડ પુરસ્કાર

જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા, બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ

જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જાેડાય તેવા ઉમદા આશય સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી ‘વિકાસદીપ‘ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષ સ્થાને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા બંદીવાનોના સંતાનોને રોકડ ઈનામ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યત્વે બે બંદીવાનના દીકરાઓ એવા તેજસ્વી યુવાનોની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલના બંદીવાન રાજેન્દ્રસિંહ જટુભા જાડેજાના પુત્ર, જેમણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ-૨૦૨૪ ની પ્રક્રિયા પૂર્ણ કરી ‘અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ‘ તરીકે પસંદગી મેળવી છે. તે ઉપરાંત રાજકોટ મધ્યસ્થ જેલના જેલમુક્ત પાકા બંદીવાન સુરસંગભાઈ સોલંકીના પુત્ર, જેમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરી સુરત ખાતે ‘જુનિયર ક્લાર્ક‘ (અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ) તરીકે નિમણૂંક મેળવી છે.

બંને તેજસ્વી યુવાનોને રાજ્યના પોલીસ વડાશ્રીના હસ્તે ‘વિકાસદીપ‘ યોજના હેઠળ રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, યાદગાર મોમેન્ટો તેમજ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

આ અવસરે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે. બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે જેલ મહાનિરીક્ષકશ્રી, અમદાવાદ જેલ અધિક્ષક શ્રી ગૌરવ અગ્રવાલ, નાયબ અધિક્ષક પી.આઈ. સોલંકી, અન્ય ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. જેલ પ્રશાસનની આ સુધારાત્મક પ્રવૃત્તિને હાજર સૌએ હૃદયપૂર્વક વધાવી લીધી હતી.

છેલ્લા બે વર્ષમાં અપાયેલા પ્રોત્સાહનો:-

૧. ‘એક નઈ ઉમ્મીદ‘ યોજના: રાજ્યની જેલોમાં રહેલા બંદીવાનોને ધોરણ ૧૦, ધોરણ ૧૨ તથા હાયર પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા ૫૭ બંદીવાનોને તા.૧૨/૦૮/૨૦૨૪ના રોજ રૂ.૭૪,૦૫૭/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.

૨. પાકા બંદીવાનોના ૭૭ બાળકોને પ્રોત્સાહન: ૩૮ પાકા બંદીવાનોના કુલ ૩૯ બાળકોને તા.૨૧-૧૧-૨૦૨૪ના રોજ રૂ.૫૪,૦૩૮/- તથા તા.૨૫-૦૬-૨૦૨૫ના રોજ પાકા ૩૪ બંદીવાનોના કુલ ૩૮ બાળકોને રૂ.૪૭,૫૩૮/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.

૩. ૧૦ બંદીવાનોના બાળકો: તા.૨૨/૦૧/૨૦૨૬ના રોજ કુલ પાકા ૧૦ બંદીવાનના ૧૦ બાળકોને રૂ.૧૧,૫૦૦/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા.

૪. ૫૧ બંદીવાનો: રાજ્યની જેલોમાં રહેલ બંદીવાનોને ‘એક નઈ ઉમ્મીદ‘ યોજના અન્વયે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં ઉત્તીર્ણ થયેલ ક્રાયા/પાકા/પાસા હેઠળ રહેલ કુલ ૫૧ બંદીવાનોને તા.૨૫-૦૬-૨૦૨૫ના રોજ રૂ.૫૭,૫૫૧/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ આપવામાં આવેલ.

૫. તા.૨૨/૦૧/૨૦૨૬ના રોજ કુલ ૦૧ બંદીવાનોને રૂ.૧,૫૦૧/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ આપવામાં આવ્યું.