ચોટીલા: પવિત્ર અધિક પુરુષોત્તમ માસની પૂનમ નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. રવિવારનો દિવસ હોવાથી વહેલી સવારથી જ લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હિન્દુ ધર્મમાં અધિક પુરુષોત્તમ માસની પૂનમનું વિશેષ મહત્વ છે. દર ત્રણ વર્ષે આવતા આ અધિક માસની પૂનમ નિમિત્તે સૌરાષ્ટ્ર અને ઝાલાવાડના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું જગપ્રસિદ્ધ ચોટીલા ધામ, મા ચામુંડાનું નિવાસસ્થાન છે. માતા ચામુંડાને 64 જોગણી પૈકીના એક અવતાર માનવામાં આવે છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ચોટીલાના ડુંગર પર બિરાજમાન મા ચામુંડા ભક્તોના દુઃખ-દર્દ દૂર કરે છે તેવી માન્યતા છે. રોજ હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે, ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે.

ચોટીલાનો ઇતિહાસ ઘણાં વર્ષો જૂનો છે. પૌરાણિક કથા અનુસાર, પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસોના ત્રાસથી પ્રજા અને ઋષિ-મુનિઓ પરેશાન હતા. ઋષિ-મુનિઓએ માતાજીની આરાધના કરતાં હવન કુંડમાંથી મા આદ્યશક્તિનું પ્રાગટ્ય થયું. આદ્યશક્તિએ ચંડ અને મુંડનો વધ કર્યો, ત્યારથી માતાજી ચંડી અને ચામુંડા તરીકે ઓળખાયા અને ચોટીલાના ડુંગર પર જોડિયા સ્વરૂપે બિરાજમાન થયાં.

