જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થતાં એક યુવાનને માર મારવામાં આવ્યો હતો. પાંચ શખ્સોએ યુવાનના બે મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા અને ગળામાંથી સોનાનો ચેઇન ઝુંટવી લીધો હતો. આ મામલે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવની વિગત મુજબ, ગોકુલનગર શેરી નં-2, ભાગ્યોદય સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય સંજય જીવણભાઈ કોરિયા પર તેમના પાડોશમાં રહેતી પ્રેમીલાબેન, ભીમભાઈ ઉર્ફે સરપંચ, નવીનભાઈ ગોરી અને અન્ય બે અજાણ્યા સાગરીતોએ હુમલો કર્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર, ફરિયાદી સંજય કોરિયા અને આરોપી પાડોશીઓ વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા. આ મનદુઃખ રાખીને ગઈકાલે તમામ આરોપીઓ સંજયના ઘરમાં ઘૂસી આવ્યા હતા.
આરોપીઓએ સંજયને ઢીકાપાટુનો માર માર્યો હતો, તેના બે મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા અને ગળામાં પહેરેલો સોનાનો ચેઇન બળજબરીપૂર્વક આંચકી લીધો હતો. આખરે, સંજય કોરિયાએ પ્રેમીલાબેન સહિત પાંચ શખ્સો સામે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

