Gujarat

સાળંગપુર હનુમાનજીના દિવ્ય સ્વરૂપો, ‘કિંગ ઓફ સાળંગપુર’ને મળ્યા કોપીરાઈટ

સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો અને ‘કિંગ ઓફ સાળંગપુર’ સહિતના વિવિધ કોપીરાઈટ તથા ટ્રેડમાર્ક સર્ટીફીકેટ પ્રાપ્ત થયા છે. આ તમામ પ્રમાણપત્રો આજે દાદાના પવિત્ર ચરણોમાં ભાવપૂર્વક સમર્પિત કરવામાં આવ્યા હતા.

આ બૌદ્ધિક સંપત્તિ હકોની નોંધણી સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશિષ્ટતાઓને ભાવિ પેઢીઓ સુધી સુરક્ષિત રાખવાના શુભ હેતુથી કરવામાં આવી છે. તેમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ અને સર્જનાત્મક કૃતિઓનો સમાવેશ થાય છે.

આ સમગ્ર પ્રક્રિયા દેશની અગ્રણી લો ફર્મ D N AHYA & CO. દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્ય આઈ.પી. ક્ષેત્રના નિષ્ણાત શ્રી દર્શિત આહ્યાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ સમયની આવશ્યકતા છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના આશીર્વાદથી ભક્તિ, સેવા અને સંસ્કૃતિના આ દિવ્ય વારસાનું સંરક્ષણ અને સંવર્ધન આગામી વર્ષોમાં પણ સતત ચાલુ રહેશે.