Gujarat

જામનગરમાં સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાઈ

જામનગરને ‘છોટી કાશી’ તરીકે ઓળખવામાં આવે છે. શહેરમાં 133 વર્ષ જૂના સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનાં કાશી વિશ્વનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાઈ હતી. કાશી વિશ્વનાથ યુવક મંડળ (સમસ્ત ખવાસ રજપૂત સમાજ) દ્વારા સતત પાંચમા વર્ષે આ આયોજન કરાયું હતું.

પાલખી યાત્રાનો પ્રારંભ સાંજે ૪ કલાકે નાગનાથ ગેટ, ખેત્રી ફળી પાસે આવેલી ખવાસ જ્ઞાતિની વાડી ખાતેથી થયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને મેયર મોનિકાબેન વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખવાસ જ્ઞાતિ અને અન્ય સમાજના મહાનુભાવો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ખવાસ જ્ઞાતિની વાડીથી પ્રસ્થાન કરીને પાલખી યાત્રા સવાભાઈની શેરી, કરશનભાઈનો ચોક, દેવુભાનો ચોક, ચારણ ફળી, દાવલશા ફળી, શાર્ક માર્કેટ, ઉપલું દાવલશા ફળી, દિપક ટોકિસ, ચૌહાણ ફળી, તળાવ ફળી, પંચેશ્વર ટાવર, સુપર માર્કેટ અને બેડી ગેઈટ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર માર્ગ પર મહાદેવના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. યાત્રાનું સમાપન રાત્રે ૯:૩૦ કલાકે કે.વી. રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે થયું હતું.

આ ધાર્મિક આયોજનને સફળ બનાવવા માટે કાશી વિશ્વનાથ યુવક મંડળના કાર્યકરો તેમજ ખવાસ રજપૂત સમાજના આગેવાનો અને સભ્યોએ જહેમત ઉઠાવી હતી.